જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં (Shopian Encounter) મંગળવારે મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં (Encounter) પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે સંકળાયેલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટર કાંજીલુર વિસ્તારમાં થયું હતું. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોના (Jammu Kashmir Encounter) આ ઓપરેશનમાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખ જાન મોહમ્મદ લોન તરીકે થઈ છે. જે શોપિયાંનો રહેવાસી હતો. તે કુલગામ જિલ્લામાં બેંક મેનેજરની હત્યામાં સામેલ હતો. જ્યારે બીજા આતંકીની ઓળખ તુફૈલ ગનાઈ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક AK-47 રાઈફલ અને પિસ્તોલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
એક ટ્વિટમાં, કાશ્મીર ઝોન પોલીસે આઈજીપી કાશ્મીર વિજય કુમારને ટાંકીને કહ્યું, “શોપિયાંમાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ જાન મોહમ્મદ લોન તરીકે થઈ છે. આતંકવાદ સંબંધિત ગુનાઓ ઉપરાંત, તે કુલગામ જિલ્લામાં 2 જૂન, 2022 ના રોજ બેંક મેનેજર વિજય કુમારની હત્યામાં પણ સામેલ હતો. દક્ષિણ કાશ્મીરમાં અરેહ મોહનપોરા બ્રાન્ચના મેનેજર વિજય બેનીવાલને ધોળાદિવસે આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બેનીવાલ રાજસ્થાનના હનુમાનગઢની મૂળ રહેવાસી હતો.
સુરક્ષા કેમેરાના ફૂટેજમાં આતંકવાદીઓ બેંકમાં ઘૂસતા અને બેંક મેનેજરને ગોળી મારતા ઝડપાયા હતા. બેનીવાલ આઠમી વ્યક્તિ છે જેમની 1 મે પછી ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી છે. વિજય બેનીવાલ કાશ્મીરાના ત્રીજા બિન-મુસ્લિમ સરકારી કર્મચારી પણ છે જેની આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગ દ્વારા હત્યા કરવામાં આવી હોય. તાજેતરના ટાર્ગેટ કિલિંગમાં ઝડપથી વધારો થતાં કાશ્મીરી પંડિતો, હિંદુ સ્થળાંતર અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે આ લોકોને ઘાટી છોડવાની ફરજ પડી છે. જ્યારે ઘણા લોકોએ માંગ કરી છે કે જ્યાં સુધી સુરક્ષાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી તેમને સલામત સ્થળે મોકલવામાં આવે.
ગઈકાલે રાત્રે એવું પણ જાણવા મળ્યું હતું કે મંગળવારે શ્રીનગરમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની નાગરિક સહિત લશ્કરના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું કે આ બંને આતંકવાદીઓ એક જૂથનો ભાગ હતા, જેઓ અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં પાંચ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તાએ માહિતી આપી હતી કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પાકિસ્તાનના ફૈસલાબાદના રહેવાસી અબ્દુલ્લા ઘૌજરી અને અનંતનાગના રહેવાસી આદિલ હુસૈન મીર ઉર્ફે સુફિયાન ફરફ મુસાબ તરીકે થઈ છે.