29 સપ્ટેમ્બર, જે દિવસે ભારતીય સેનાએ, સરહદ પાર કરી પાકિસ્તાનમાં (Pakistan ) ઘૂસીને પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. ભારતીય સેનાના બહાદુર જવાનોએ 2016માં આજના દિવસે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં ગર્વભેર ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરી હતી. ભલે સેનાએ આ માટે 29 સપ્ટેમ્બરની પસંદગી કરી, પરંતુ તેની સ્ક્રિપ્ટ વાસ્તવમાં ત્યારે જ લખવામાં આવી હતી જ્યારે આતંકવાદીઓએ 18 સપ્ટેમ્બરે ભારતીય સેનાને નિશાન બનાવી હતી. આના દસ દિવસ પછી ભારતના બહાદુર સૈનિકોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને ઘણા આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા અને અનેક આતંકવાદીઓને ઠાર કર્યા.
અહેવાલો અનુસાર, ભારતીય સેનાના જવાનોએ 35-70 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જોકે, પાકિસ્તાને સર્જિકલ સ્ટ્રાઈકને ખોટી અને ઉપજાવી કાઢેલ ગણાવી હતી અને સર્જિકલ સ્ટ્રાઈકથી થયેલ નુકસાનને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને સ્વીકાર્યું કે બે પાકિસ્તાની સૈનિકો અને નવ અન્ય ઘાયલ થયા છે. આતંકવાદીઓનું આશ્રયસ્થાન બનેલા પાકિસ્તાને, સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા ભારતે આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હોવાનું પણ સ્વીકાર્યું ના હતું.
2016 માં, 18 સપ્ટેમ્બરના રોજ, પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કથિત રીતે ભારતીય સેનાને નિશાન બનાવીને આતંકવાદી હુમલા કરવામાં આવ્યા હતા. આ ભીષણ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ પછી, સેનાના જવાનોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓને એવી ધૂળ ચટાડી હતી કે જે હંમેશા યાદ રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સર્જિકલ સ્ટ્રાઈકની સમગ્ર સ્ક્રિપ્ટને સેનાના જવાનોએ સફળતાપૂર્વક અંજામ આપ્યો અને કાંઈપણ નુકસાન વિના સુરક્ષીત પાછા ફર્યા. તેની સંપૂર્ણ તૈયારી 28 સપ્ટેમ્બરની રાત્રે સમાપ્ત થઈ ગઈ હતી અને તેના માટે સૈનિકોની એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી.
29 સપ્ટેમ્બરે ભારતીય સેનાની એક વિશેષ ટીમે બપોરે 12.30 વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રવેશ કર્યો અને સાંજે 4.30 વાગ્યા સુધી ચાર કલાક સુધી ઓપરેશન ચલાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે તેની સંપૂર્ણ દેખરેખ રાખી રહ્યા હતા. જો કે, તત્કાલીન ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે કહ્યું હતું કે પાકિસ્તાનને આ ઓપરેશન વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. લેફ્ટનન્ટે જણાવ્યું હતું કે આ સાથે પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી કે, જો પાકિસ્તાની સેના કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો ભારત તેનો ખુલ્લો જવાબ આપશે.
18 સપ્ટેમ્બર, 2016ના રોજ પાકિસ્તાનના આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. રાતના અંધારામાં કરવામાં આવેલા આ હુમલામાં ભારતીય સેનાના 19 જવાનો શહીદ થયા હતા. ભારતે આ માટે પાકિસ્તાન સ્થિત જૈશના આતંકવાદીઓને જવાબદાર ગણાવ્યા હતા. જોકે ભારતીય વિસ્તારમાં જૈશના આતંકવાદીઓનો આંતકી હુમલો પહેલીવાર નથી થયો. આ પહેલા આ આતંકીઓએ પંજાબના ગુરદાસપુર અને પઠાણકોટમાં પણ આવા આત્મઘાતી હુમલા કર્યા હતા. જો કે, પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ભારતે જ ઉરીમાં આતંકવાદી હુમલા કર્યા છે અને આ બધું જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી બાબતો પરથી ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવ્યું છે.