મુંબઈ 1993 બ્લાસ્ટના ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો, સજા સામે કરેલી અરજી થઈ રદ્દ
ગેંગસ્ટર અબુ સાલેમને (Abu Salem) સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પ્રત્યાર્પણ સંધિ કોર્ટને લાગુ પડતી નથી, જે સજા થશે. તે કોર્ટ નક્કી કરશે.
1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી ગેંગસ્ટર અબુ સાલેમને (Abu Salem) સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે અબુ સાલેમની એ અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે તેને આપવામાં આવેલી આજીવન કેદની સજાને પડકારી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, પ્રત્યાર્પણ સંધિ કોર્ટ પર લાગુ પડતી નથી. તો જે પણ સજા થશે, તેનો કોર્ટ નિર્ણય કરશે. સાલેમે અરજીમાં આજીવન કેદની સજાને એ આધાર પર પડકારી હતી કે 2002માં તેના પ્રત્યાર્પણ સમયે ભારતે પોર્ટુગલને આપેલા આશ્વાસન મુજબ તેને આપવામાં આવેલી સજા 25 વર્ષથી વધુ ન હોઈ શકે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, ગેંગસ્ટર અબુ સાલેમને વર્ષ 2027માં જેલમાં મુકત કરવામાં આવશે નહીં. કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે. આવી સ્થિતિમાં તેની મુક્તિ હવે વર્ષ 2030માં જ શક્ય બનશે. અગાઉ સાલેમે તેની અરજીમાં દાવો કર્યો હતો કે ભારતમાં તેની જેલની સજા 2027થી વધુ નહીં થઈ શકે.
SC clarifies that gangster Abu Salem cannot be released till 2030 but after completing his 25 years of detention period, the Central govt can advise the President regarding the extradition treaty between India and Portugal
— ANI (@ANI) July 11, 2022
ગેંગસ્ટર અબુ સાલેમને 2 કેસમાં થઈ હતી સજા
મુંબઈની ટાડા કોર્ટે અબુ સાલેમને 2 કેસમાં આજીવન કેદની સજા સંભળાવી છે. સાલેમે કહ્યું કે, ભારત સરકારે 2002માં 25 વર્ષથી વધુની સજા નક્કી નહીં કરવાનું વચન આપ્યું હતું, ત્યારે જ તે પોર્ટુગીઝ પોલીસની કસ્ટડીમાં આવ્યો હતો. તેથી 2002ની તારીખને તેની મુક્તિનો આધાર બનાવવો જોઈએ, કારણ કે આ મુજબ 25 વર્ષની સમય મર્યાદા 2027માં પૂરી થશે. જોકે ભારત સરકારે તેનો વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું કે સાલેમને વર્ષ 2005માં ભારત લાવવામાં આવ્યો હતો. તેથી તેની મુક્તિ અંગે નિર્ણય લેવાનો પ્રશ્ન 2030 માં જ આવશે.
અબુ સાલેમનું 2005માં પોર્ટુગલથી કરવામાં આવ્યું હતું પ્રત્યાર્પણ
તમને જણાવી દઈએ કે, 1993ના મુંબઈ બોમ્બ ધડાકાના દોષિત સાલેમને 11 નવેમ્બર, 2005ના રોજ પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. જૂન 2017માં સાલેમને 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં તેની ભૂમિકા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને બાદમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં લગભગ 2 કલાકમાં એક પછી એક 12 બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં 257 લોકોના મોત થયા હતા અને 713 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.