દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. રાઉઝ એવન્યુ કોર્ટે આ આદેશ આપ્યો છે. કેજરીવાલને તિહાડ જેલ નંબર-2માં રાખવામાં આવ્યા છે. અહીં તે બેરેકમાં એકલા જ રહેશે. રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ પર કેજરીવાલને અહીં કેટલીક વસ્તુઓ પણ આપવામાં આવશે.
સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલે કોર્ટ પાસે ધાર્મિક પુસ્તકો, ડાયાબિટીસ મશીન, વિશેષ આહાર અને અન્ય વસ્તુઓની માંગણી કરી હતી. કોર્ટે તેમની અરજી સ્વીકારી લીધી છે. આ સિવાય કેજરીવાલે તેમની સાથે મુલાકાત કરનારાઓના 6 નામ પણ જેલ પ્રશાસનને સુપરત કર્યા છે. જેમાં તેમના પરિવાર અને ત્રણ મિત્રોના નામ સામેલ છે.
અરવિંદ કેજરીવાલે કોર્ટમાં શ્રીમદ ભાગવત, રામાયણ અને અન્ય પુસ્તક આપવા માટે અરજી કરી હતી. આ સિવાય તેમણે ડાયાબિટીસ ચેક કરવાનું મશીન, ચશ્મા, દવાઓ અને આહારની પણ પરવાનગી માંગી હતી. કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં આ તમામ વસ્તુઓ પૂરી પાડવાની મંજૂરી કોર્ટે આપી છે. આ સિવાય કોર્ટે જેલ સુપ્રિટેન્ડેન્ટને જેલ મેન્યુઅલ મુજબ જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન ટેબલ, ખુરશી, પેન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
તિહાર જેલમાં પહોંચ્યા બાદ કેજરીવાલે જેલ પ્રશાસનને તેમની સાથે મુલાકાત કરનારા છ લોકોના નામ રજૂ કર્યા હતા. જેમાં તેમના પરિવારના ત્રણ સભ્યો એટલે કે પત્ની, પુત્ર અને પુત્રી અને ત્રણ મિત્રોના નામ સામેલ છે. જેલ મેન્યુઅલ મુજબ કેજરીવાલ જેલ પ્રશાસનને 10 લોકોના નામ જણાવી શકે છે જે તેમને મળી શકશે. જો કે કેજરીવાલે માત્ર 6 લોકોના નામ આપ્યા છે, જેમાં તેમની પત્ની સુનીતા, પુત્રી હર્ષિતા, પુત્ર પુલકિત અને ત્રણ મિત્રો સંદીપ પાઠક, વિભવ અને અન્ય એકનું નામ સામેલ છે..
રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ પહેલા સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સામે બંને પક્ષોએ દલીલો કરી હતી. EDએ કોર્ટને કહ્યું કે કેજરીવાલે ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ જાહેર કર્યા નથી. કેજરીવાલ સતત ગોળગોળ જવાબો આપી રહ્યા છે. EDએ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
અરવિંદ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના આદેશ પર તેમની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે તેમની 11 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી. કોર્ટે તેને દોષિત પણ ન ગણાવ્યા, તો પછી તેને જેલમાં કેમ મુકવામાં આવ્યા? કેજરીવાલે કહ્યું કે, આ લોકોનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમને જેલમાં ધકેલી દેવાનો છે, જનતા આ તાનાશાહીનો જવાબ આપશે.
આ પહેલા 28 માર્ચે કોર્ટે અરવિંદ કેજરીવાલના રિમાન્ડ ચાર દિવસ માટે લંબાવ્યા હતા. આ પછી કેસની સુનાવણી માટે 1 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી હતી. જો કે રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ બાદ તિહાડ જેલમાં હાઈ લેવલ મિટિંગ યોજાઈ હતી. આ પછી નક્કી થયું કે કેજરીવાલને કઈ જેલ નંબરમાં રાખવામાં આવશે.
ઇનપુટ- જિતેન્દ્ર શર્મા