રણજિતસિંહ હત્યાકેસમાં ગુરમિત રામ રહીમ સહીત અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા
Ranjit Singh murder case : CBI સ્પેશીયલ કોર્ટે રણજિતસિંહ હત્યાકેસમાં ડેરા સચ્ચા સૌદાના ગુરમિત રામ રહીમ સહીત 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં (Ranjeet singh Murder Case) ગુરમીત રામ રહીમ (Ram Rahim) અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 19 વર્ષ બાદ સોમવારે રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે. પંચકુલાની સ્પેશીયલ CBI કોર્ટે (Panchkula CBI Court) રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ગુરમીત રામ રહીમને આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત કરી ન હતી. રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીતસિંહ હત્યાકેસમાં પંચકુલાની CBI સ્પેશીયલ કોર્ટમાં ત્રણેય દોષિતોની દલીલો પૂરી થઈ ગઈ હતી.
12 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલની દલીલો પૂરી થઈ હતી. સાથે જ આજની કાર્યવાહી દરમિયાન જસબીર, સબદિલ અને અવતારની દલીલો પણ પૂર્ણ થઈ છે. જે બાદ CBIની વિશેષ કોર્ટે રણજિત હત્યા કેસમાં સજાની જાહેરાત કરી છે. આ સાથે જ ડેરા સચ્ચા સૌદાના ગુરમિત રામ રહીમ પર 31 લાખ રૂપિયા અને અન્ય આરોપીઓને 50-50 હજારનો દંડ ફટકાર્યો છે.
સમગ્ર પંચકુલા જિલ્લામાં કલમ 144 લાગુ સજાની જાહેરાત પહેલા જ પંચકુલા શહેરની સુરક્ષાને જોતા જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી હતી. પંચકુલાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મોહિત હાંડા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, રામ રહીમ સહિત દોષિતોને સજા આપવાની જાહેરાતને કારણે જિલ્લામાં જાનમાલનું નુકશાન થવાની સંભાવના છે, જેના કારણે જિલ્લામાં કોઈ પણ પ્રકારનો તણાવ અને ખલેલ ન પહોંચે, શાંતિ ભંગ થવાની અને રમખાણોની આશંકાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો : મુંબઈ-પુણે હાઈવે પર ગંભીર અકસ્માત, 6 વાહનો એકબીજા સાથે અથડાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત
આ પણ વાંચો : PUNJAB : પુરઝડપે આવેલી કારે બે યુવતીઓને અડફેટે લીધી, જુઓ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો