સિદ્ધુ મૂસેવાલાના પિતાને ઈન્સ્ટાગ્રામ પર મળી જાનથી મારી નાખવાની ધમકી, પાકિસ્તાનથી કરવામાં આવી પોસ્ટ
સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહને ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિંહને પાકિસ્તાન તરફથી આ ધમકી મળી છે. પોસ્ટમાં લખ્યું છે - 'નેક્સ્ટ નંબર બાપુનો'. મૂસેવાલાના પિતાએ પોલીસને ધમકીની જાણ કરી છે.
સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moosewala) પિતા બલકૌર સિંહને (Balkaur Singh) ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિંહને પાકિસ્તાન તરફથી આ ધમકી મળી છે. પોસ્ટમાં લખ્યું છે – ‘નેક્સ્ટ નંબર બાપુનો’. મૂસેવાલાના પિતાએ પોલીસને ધમકીની જાણ કરી છે. મળતી માહિતી મુજબ બલકૌર સિંહને પાકિસ્તાનના એક નંબર પરથી ઈન્સ્ટાગ્રામ પર ધમકીભર્યો મેસેજ મળ્યો છે. મુસેવાલાના પિતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પંજાબ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. જો કે આ મામલે પંજાબ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ માનસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, હવે તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ધમકી મળ્યા બાદ મૂસેવાલાના પિતા થોડા દિવસો માટે ગામની બહાર ગયા છે. આ માહિતી સિદ્ધુ મુસેવાલાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજના સ્ટોરી સેક્શનમાં આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મૂસેવાલાના માતા-પિતા થોડા દિવસોથી ગામમાં નથી.
ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં કથિત રીતે સંડોવાયેલા બે ગેંગસ્ટરોને પંજાબ પોલીસે ઠાર કર્યા હતા. અમૃતસરના એક ગામમાં પંજાબ પોલીસ સાથે પાંચ કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં બે ગેંગસ્ટર માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટરમાં ત્રણ પોલીસકર્મી અને એક પત્રકાર પણ ઘાયલ થયા છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ પ્રમોદ બાને અમૃતસરમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગેંગસ્ટર જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ ઉર્ફે મન્નુ કુસા પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા.
તેમણે જણાવ્યું કે એન્કાઉન્ટર પાંચ કલાક સુધી ચાલ્યું જે સાંજે 4 વાગ્યે સમાપ્ત થયું. તેમણે કહ્યું કે પોલીસ સાથે ભારે ગોળીબારમાં બંનેના મોત થયા છે. એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF)ના વડા બાને જણાવ્યું હતું કે બંને પાસેથી એક AK-47 અને એક પિસ્તોલ મળી આવી છે. એક બેગ પણ મળી આવી છે, પરંતુ ફોરેન્સિક વિભાગ તેની તપાસ કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.