Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના રાયચીમાં આવેલી શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીના (Shri Mata Vaishno Devi University) 13 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદ યુનિવર્સિટીને આગામી આદેશ સુધી બંધ કરવામાં આવી છે. રાયચીના (Raisi District) ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું કે, વૈષ્ણોદેવી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો 31 ડિસેમ્બર 2021ના રોજ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યુ કે, કોરોના તપાસ દરમિયાન 13 વિદ્યાર્થીઓ કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા છે. ત્યારે હાલ રાયચી જિલ્લા મેજિસ્ટ્રેટ ચરણદીપ સિંહે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી મેનેજમેન્ટને (University Management) આગામી આદેશ સુધી કેમ્પસ બંધ રાખવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજ લહેર બાદ ફરી એકવાર કોરોના કેસમાં વધારો થતા તંત્રની ચિંતા વધી છે.
શનિવારે 68 કેસ જમ્મુમાંથી જ્યારે 101 કેસ કાશ્મીરમાંથી સામે આવ્યા હતા.જ્યારે છેલ્લા 24 કલાકમાં 107 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કોરોનાને કારણે બે દર્દીઓના મોત થયા છે. હાલ જમ્મુ અને કાશ્મીરમાં કોવિડના 1397 સક્રિય કેસ છે, જેમાં જમ્મુમાં 470 અને કાશ્મીરમાં 927 છે. જ્યારે ઓમિક્રોનની વાત કરીએ અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ કેસ સામે આવ્યા છે. સમગ્ર દેશમાં આ નવા વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1525 થઈ ગઈ છે. જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 460 કેસ છે. જ્યારે દિલ્હીમાં 351, ગુજરાતમાં 136, તમિલનાડુમાં 117, કેરળમાં 109, રાજસ્થાનમાં 69, તેલંગાણામાં 67, હરિયાણામાં 63, કર્ણાટકમાં 64, આંધ્રપ્રદેશમાં 17, પશ્ચિમ બંગાળમાં 20, ઓડિશા, મધ્યપ્રદેશમાં 14 ઉત્તર પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, આંદામાન અને નિકોબારમાં 2, ગોવામાં 1, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1, મણિપુરમાં 1 અને પંજાબમાં 1 કેસ નોંધાયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 94 નવા કેસ નોંધાયા છે. આ રીતે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 1525 થઈ ગયા છે. અત્યાર સુધીમાં 560 લોકો સ્વસ્થ થઈ ગયા છે,બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,553 નવા કેસ સામે આવતા ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.
આ પણ વાંચો : Mumbai : કોરોનાનો કહેર યથાવત, ઓરપોર્ટ પર 15 કસ્ટમ અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની વધી ચિંતા
આ પણ વાંચો : Corona Update: કોરોનાના કેસમાં સતત વધારો, 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા અને 284 લોકોના મોત