એનસીપી વડા
શરદ પવાર (Sharad Pawar) આજે (બુધવાર, 6 એપ્રિલ) પીએમ નરેન્દ્ર મોદીને
(PM Narendra Modi) મળ્યા હતા. બંને મોટા નેતાઓ વચ્ચે લગભગ 20 થી 25 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ વાતચીત પીએમના સંસદના કાર્યાલયમાં થઈ હતી. આ પછી શરદ પવારે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સનું
(Sharad Pawar Press Conference) આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે આ બેઠક લક્ષદ્વીપના એનસીપી સાંસદ મોહમ્મદ ફૈઝલના આગ્રહ પર ત્યાંના કેટલાક મુદ્દાઓને લઈને થઈ હતી. લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ કે પટેલના કેટલાક નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે મહારાષ્ટ્રમાં રાજ્યપાલને મોકલવામાં આવેલી 12 ધારાસભ્યોની યાદી પર તેમના દ્વારા નિર્ણય ન લેવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
શરદ પવારે સ્પષ્ટ કર્યું કે મહારાષ્ટ્રમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી અંગે કોઈ વાત થઈ નથી. પરંતુ એમ જરૂર કહ્યુ કે, તેમણે પીએમ મોદીની સામે સંજય રાઉત વિરુદ્ધ EDની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પીએમને સ્પષ્ટ કહ્યું હતું કે તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી ખોટી છે. અને સંજય રાઉત સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સંજય રાઉત પર કાર્યવાહી કરવાની શું જરૂર હતી? એવો સવાલ પણ શરદ પવારે કર્યો હતો.
મહારાષ્ટ્ર સરકારની અસ્થિરતાના સવાલ પર શરદ પવારે કહ્યું કે મહા વિકાસ અઘાડી સરકાર સંપૂર્ણ રીતે સ્થિર છે, સરકાર ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે. સરકારને કોઈ ખતરો નથી. શરદ પવારે એ પણ સ્પષ્ટ કર્યું કે એનસીપીના ભાજપ સાથેના નવા સમીકરણની વાતો માત્ર અફવા છે. એનસીપીનો ભાજપ સાથે ક્યારેય કોઈ સંબંધ નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં. એનસીપી ક્યારેય ભાજપ સાથે ગઠબંધન નહીં કરે.
‘મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે’
શરદ પવારે પણ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે તેઓ યુપીએ પ્રમુખ પદની રેસમાં નથી. તેઓ ચોક્કસપણે દેશમાં સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એક કરવાનો પ્રયાસ કરશે. મહારાષ્ટ્ર અંગે તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે અને પછી આગામી પાંચ વર્ષ માટે ચૂંટણી જીતીને સરકાર બનાવશે.
શરદ પવારે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે કહીઆ વાત
મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે શરદ પવારે કહ્યું કે રાજ ઠાકરે શું બોલે છે તેના પર તેઓ કંઈ બોલશે નહીં. પરંતુ આવા મુદ્દા ઉઠાવીને સમાજમાં જે તંગદિલી સર્જાઈ રહી છે તે ખોટું થઈ રહ્યું છે. આ દેશ અને સમાજ માટે બિલકુલ સારું નથી. રાજ ઠાકરે પહેલા ભાજપ વિરોધી હતા. હવે તેઓ બદલાઈ ગયા છે.
‘કેબિનેટમાં ફેરબદલ નહીં, મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં નહીં આવે’
શરદ પવારે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મહિને કેબિનેટમાં ફેરબદલના સમાચારમાં કોઈ તથ્ય નથી. કેબિનેટમાં કોઈ ફેરબદલ થશે નહીં. કોઈપણ મંત્રીને રાજીનામું આપવા માટે કહેવામાં આવશે નહીં. મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારે અઢી વર્ષ પૂરા કર્યા છે, બાકીના અઢી વર્ષ પૂરા કરશે.