ચૂંટણીમાં સતત આંચકાઓનો સામનો કરી રહેલી કોંગ્રેસ (Congress Party) ફરી પાર્ટીને મજબૂત કરીને સત્તામાં પરત ફરવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભે કોંગ્રેસે ઉદયપુરમાં ચિંતન શિબિરનું (Congress Chintan Shibir) આયોજન કર્યું હતું. આ ચિંતન શિબિરમાં ચર્ચા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) 6 અલગ-અલગ સમિતિઓની રચના કરી હતી, જેની ભલામણોને શિબિરમાં મંજૂર કરવામાં આવી હતી. ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ એક મહત્વનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ કોંગ્રેસના (Punjab Congress) અધ્યક્ષ અને પૂર્વ યૂથ કોંગ્રેસ અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા બ્રારની યુવા સમિતિએ સોનિયા ગાંધી સમક્ષ ભલામણ કરી હતી કે નેતાઓની નિવૃત્તિની ઉંમર 65 વર્ષ નક્કી કરવામાં આવે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતે આ ભલામણ પર સહમતિ દર્શાવી હતી. સોનિયા ગાંધીએ આ મુદ્દે સહમત થતા, પક્ષમાં આંતરીક હોબાળો થવાનું નક્કી જ હતુ. તાજેતરમાં હરિયાણાના સંગઠનમાં પોતાના ઈચ્છિત નિર્ણયો લેનારા ભૂપિન્દર સિંહ હુડ્ડા જેવા નેતાઓના આ નિર્ણયને પગલે હોશ ઉડી ગયા હતા.
હકીકતમાં, હરિયાણામાં હુડ્ડા હોય કે, મધ્ય પ્રદેશમાં કમલનાથ સિંહ કે દિગ્વિજય સિંહ કે પછી હિમાચલ પ્રદેશમાં પ્રતિભા વીરભદ્ર સિંહ હોય. બધાની ઉંમર 65થી વધુ છે. આ સિવાય અશોક ગેહલોત, પી. ચિદમ્બરમ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મલ્લિકાર્જુન ખડગે અને પવન બંસલ જેવા વરિષ્ઠ નેતાઓ આ વય મર્યાદાની અંદર આવી જાય છે.
આવી સ્થિતિમાં, લાંબા વિચાર-વિમર્શ પછી, નિર્ણય લેવામાં આવ્યો કે આ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલ કોંગ્રેસે આ ભલામણના અમલમાં ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી. અચાનક તમામ મોટા નેતાઓ જેઓ હાલમાં પોતપોતાના રાજ્યોમાં કમાન સંભાળી રહ્યા છે, તેમને ચૂંટણીના સમયે તાત્કાલિક ઘરે બેસાડવા યોગ્ય નથી.
નિવૃત્તિની ઉંમર અંગેની ચર્ચા ગંભીર હતી, સોનિયા ગાંધી પોતે પણ તેની તરફેણમાં હોવાથી આ મુદ્દે દબાણ વધી રહ્યું હતું. આવી સ્થિતિમાં, હાલ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ બાબતને તાત્કાલિક અમલમાં મૂકવાને બદલે તેને 2024ની લોકસભાની ચૂંટણી સુધી સ્થગિત કરી દેવી જોઈએ, ત્યારબાદ આ નિર્ણયને ધીમે-ધીમે લાગુ કરવામાં આવે, આ બે વર્ષનો સમયગાળો પક્ષના વરિષ્ઠ નેતાઓ માટે કુલિંગ ઓફ પિરિયડ છે.
આ પછી નિર્ણય લેવાયો હતો કે સિનિયર્સને 2 વર્ષની છૂટછાટ આપ્યા બાદ પણ પાર્ટીમાં 50 ટકા પોસ્ટ્સ 50 વર્ષથી નીચેના યુવાનોને તાત્કાલિક આપવામાં આવે. પોતાના પર લટકતી તલવાર જોઈને તમામ સિનિયર્સ આ મુદ્દે સહમત થયા અને આ નિર્ણયને સ્વીકારી લેવાયો. પાર્ટીના આ નિર્ણયને પગલે, વરિષ્ઠો આગામી 2 વર્ષ સુધી રાહતનો શ્વાસ લેશે.
સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધી 2024માં લોકસભા ચૂંટણી બાદ રાજકારણમાંથી સંન્યાસ લેશે. આ સાથે અંબિકા સોની, સુશીલ કુમાર શિંદે, એકે એન્ટની સહિતના ઈન્દિરા ગાંધીના સમય સાથે જોડાયેલા નેતાઓ પણ નિવૃત્ત થશે. જો કે, આ સંદર્ભે, 2024 અથવા તેની આસપાસ ચૂંટણી જીતનારા અથવા સીએમ બનનારા આવા નેતાઓને થોડી રાહત મળી શકે છે. હુડ્ડા, કમલનાથ સિંહ કે પ્રતિભા વીરભદ્ર સિંહની જેમ જો તેઓ મુખ્યમંત્રી બનશે તો તેમને થોડો વધુ સમય મળશે.