Gyanvapi Masjid: જ્ઞાનવાપી મસ્જિદને લઈને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષ તરફથી દાખલ કરવામાં આવેલી આ અરજીમાં સર્વેને રોકવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી જ્ઞાનવાપી (Gyanvapi Masjid) અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની છે. અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ દલીલો શરૂ કરી હતી. તેમણે કહ્યું કે વારાણસી કોર્ટમાં હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રાર્થના સ્પષ્ટપણે મસ્જિદના બંધારણના પાત્રને બદલવાની વાત કરે છે.
યુપી સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમને પરિસ્થિતિ વિશે ખબર નથી. આજે રિપોર્ટ દાખલ કરવાનો છે, અમને સ્થિતિ જાણવા માટે સમય આપો. એવું ન થવું જોઈએ કે શિવલિંગને નુકસાન થાય. આ પછી જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે મસ્જિદ કમિટી આશ્વાસન આપશે કે શિવલિંગ સુરક્ષિત રહેશે.
જસ્ટિસ ચંદ્રચુડે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવા અને નમાઝ માટે મુસ્લિમ પક્ષના લોકોની સંખ્યા મર્યાદિત કરવા માટે હરિશંકર જૈનની અરજી વાંચી સંભળાવી. સંબંધિત વિસ્તારને સીલ કરવા અને CRPF તૈનાત કરવાનો નીચલી અદાલતનો આદેશ પણ વાંચ્યો. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે અમે શિવલિંગને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક આદેશ આપીએ છીએ અને મુસ્લિમ પક્ષને નમાઝ અદા કરવાની મંજૂરી આપીએ છીએ અને પછી પ્રતિવાદીઓને સાંભળ્યા બાદ આગળ જોઈશું. કોર્ટે આ કેસમાં પ્રતિવાદીઓને નોટિસ પણ પાઠવી છે.
જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કથિત શિવલિંગને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે મુસ્લિમ સમુદાય માટે મસ્જિદની અંદર નમાજ પઢવાનો રસ્તો પણ સાફ કરી દીધો છે.
જ્ઞાનવાપી મસ્જિદ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચે કહ્યું છે કે નીચલી અદાલતે આ મામલાને ઉકેલવો જોઈએ. બીજી તરફ વારાણસી કોર્ટે અજય કુમાર મિશ્રાને કોર્ટ કમિશનરના પદ પરથી હટાવી દીધા છે. બાકીના બે કમિશનરને સર્વે રિપોર્ટ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે.
Published On - 5:29 pm, Tue, 17 May 22