હાલમાં જ તમે એક સમાચાર વાંચ્યા હશે, ભારતીય રેલવેએ (Indian Railway) 20 રૂપિયાની ચા માટે 70 રૂપિયા વસૂલ્યા છે. આ મહિનાની શરૂઆતમાં દિલ્હી અને ભોપાલ વચ્ચે ચાલતી શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને 20 રૂપિયાની ચા માટે 70 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. IRCTC દ્વારા યાત્રી પાસેથી ચા પીરસવા માટે 50 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે લેવામાં આવ્યા હતા. જો કે, નવા સમાચાર એ છે કે રેલવેએ તે તમામ ખાદ્યપદાર્થો અને પીણાં પરના ઓન-બોર્ડ સર્વિસ ચાર્જને માફ કરી દીધા છે જેના માટે પ્રીમિયમ ટ્રેનોમાં પ્રી-ઓર્ડર કરવામાં આવ્યા નથી. જોકે આમાં એક અડચણ છે.
નાસ્તા, લંચ અથવા ડિનરના ભાવમાં 50 રૂપિયાની ફી ઉમેરવામાં આવી છે. ચા અને કોફીની કિંમતો તમામ મુસાફરો માટે સમાન હશે, પછી ભલે તમે અગાઉથી બુકિંગ કરાવ્યું હોય અથવા ટ્રેનમાં જ ઓર્ડર કર્યો હોય. આ માટે દરોમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)ની અગાઉની જોગવાઈ હેઠળ, જો કોઈ વ્યક્તિએ તેની ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે ભોજન માટે બુકિંગ ન કરાવ્યું હોય, તો તેને મુસાફરી દરમિયાન ભોજનનો ઓર્ડર આપતી વખતે વધારાના 50 રૂપિયા આપવાના રહેતા હતા. ભલે તેણે માત્ર રૂ. 20માં ચા કે કોફીનો ઓર્ડર આપ્યો હોય.
હવે, રાજધાની, દુરંતો અથવા શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં સવાર મુસાફરો, જેમણે તેમનું ભોજન અગાઉથી બુક કરાવ્યું નથી, તેમણે ચા માટે રૂ. 20 ચૂકવવા પડશે (જેમણે ભોજન બુક કરાવ્યું છે તેમના દ્વારા ચૂકવવામાં આવતી રકમની સમાન). અગાઉ આવા મુસાફરો માટે ચાની કિંમત 70 રૂપિયા હતી, જેમાં સર્વિસ ચાર્જ સામેલ હતો.
અગાઉ નાસ્તો, લંચ અને સાંજના નાસ્તાના દરો અનુક્રમે રૂ. 105, રૂ. 185 અને રૂ. 90 હતા, જ્યારે પ્રત્યેક ભોજન સાથે રૂ. 50નો વધારાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. જો કે, મુસાફરોએ હવે આ ભોજન માટે અનુક્રમે રૂ. 155, રૂ. 235 અને રૂ. 140 ચૂકવવા પડશે અને ભોજનની કિંમતમાં સર્વિસ ચાર્જ ઉમેરવામાં આવશે.
પીટીઆઈના અહેવાલ મુજબ, રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, સર્વિસ ફી હટાવવાની અસર માત્ર ચા અને કોફીની કિંમતમાં જ જોવા મળશે. જેમાં એડવાન્સ બુકિંગ ન કરાવનાર પેસેન્જરે પણ બુકિંગ કરાવનાર પેસેન્જર જેટલી જ ફી ચૂકવવી પડશે. જો કે, અન્ય તમામ ભોજન માટે સર્વિસ ચાર્જની રકમ નોન-બુકિંગ સુવિધાઓ માટે ભોજનની કિંમતમાં ઉમેરવામાં આવી છે.
Published On - 5:04 pm, Tue, 19 July 22