
ભારતના હાઈ-સ્પીડ રેલવે કાર્યક્રમને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ને કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરાયેલા સાત સૂચિત હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા સૂચના આપી છે.
આ ઉપરાંત, બોર્ડે તમામ કોરિડોરમાં ગુણવત્તાના ધોરણો જાળવી રાખવા અને આ પ્રોજેક્ટ્સ માટે તાલીમબદ્ધ કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ પ્રવચનમાં જે સાત નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરી હતી. આમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નાઈ, ચેન્નાઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલીગુડીનો સમાવેશ થાય છે.
NHSRCL એ એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) છે, જેની સ્થાપના વર્ષ 2016માં ભારતના હાઈ-સ્પીડ રેલ કોરિડોરના ફાઇનાન્સિંગ, કન્સ્ટ્રક્શન, જાળવણી અને સંચાલન માટે કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રેલવે બોર્ડે NHSRCL ને પ્રોજેક્ટના અમલીકરણ માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે કોરિડોરના અભ્યાસ પૂર્ણ થઈ ગયા છે, તેમના DPR ને વર્તમાન ખર્ચના અંદાજો સાથે અપડેટ કરવામાં આવશે, જેથી તેની નાણાકીય વ્યવહારુતા (Financial Feasibility) ચકાસી શકાય.
NHSRCL એ અગાઉ દિલ્હી-વારાણસી, દિલ્હી-અમદાવાદ, મુંબઈ-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ, ચેન્નાઈ-મૈસૂર, દિલ્હી-અમૃતસર અને વારાણસી-હાવડા સહિત સાત કોરિડોર માટે DPR રજૂ કર્યા હતા, જે હાલ તપાસ હેઠળ છે. જો કે, તાજેતરના બજેટમાં જાહેર કરાયેલા સાત નવા કોરિડોર અગાઉના પ્રસ્તાવો જેવા નથી પરંતુ તેઓ તેની સાથે જોડાયેલા છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અગાઉ જણાવ્યું હતું કે, 4,000 કિલોમીટરમાં ફેલાયેલા આ સાત કોરિડોરનો અંદાજિત ખર્ચ ₹16 લાખ કરોડ થશે. બોર્ડે એવો પણ નિર્દેશ આપ્યો છે કે, સમગ્ર ભારતમાં હાઈ-સ્પીડ રેલ પ્રણાલીના ધોરણો જાળવી રાખવા જોઈએ. દરેક પ્રોજેક્ટ માટે એક સમર્પિત ફિલ્ડ-આધારિત કોર ટીમ હોવી જોઈએ, જે પ્રી-કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ અને કોન્ટ્રાક્ટ દસ્તાવેજો તૈયાર કરવા જેવી કામગીરી સંભાળશે.
એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું કે, “બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ માટે પૂરતી સંખ્યામાં તાલીમબદ્ધ ટેકનિકલ સ્ટાફ હોવો જોઈએ. સાથે જ, નક્કી કરાયેલા મુદ્દાઓ પર થયેલી પ્રગતિની સમીક્ષા ઉચ્ચ સ્તરે કરવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના આગામી તબક્કા માટે આ ખૂબ જ આવશ્યક છે.”
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો પ્રથમ હિસ્સો, સુરત અને બિલીમોરા વચ્ચે 15 ઓગસ્ટ 2027 સુધીમાં શરૂ થવાની ધારણા છે. ત્યારબાદ વાપી-સુરત, વાપી-અમદાવાદ અને ઠાણે-અમદાવાદ સેક્શન કાર્યરત થશે. આ આખો કોરિડોર વર્ષ 2029 સુધીમાં પૂર્ણ થઈ જશે.