EDના અધિકારો કેટલા ? આજે સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ એક્ટ પર કરશે નિર્ણય
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એ નક્કી થશે કે આગામી સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કાર્યક્ષેત્ર શું હશે અને ભવિષ્યમાં તે કેવી રીતે કામ કરશે. ખાસ વાત એ છે કે PMLA એક્ટ લાગુ થયા બાદ માત્ર 23 લોકોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની (Prevention of Money Laundering Act) અનેક જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Directorate) સત્તા અને મર્યાદા પણ નક્કી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટ EDની સત્તા, ધરપકડના અધિકાર, સાક્ષીઓને સમન્સ અને સંપત્તિ જપ્ત કરવાની રીત અને જામીન પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપી શકે છે.
આ કાયદાની ઘણી જોગવાઈઓને પડકારતી 100 થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેના પર આજે સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ નિર્ણય આપશે. આ અરજીઓ કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમ, એનસીપી નેતા અનિલ દેશમુખ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ એએમ ખાનવિલકરના વડપણવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. બેન્ચમાં જસ્ટિસ સીટી રવિકુમાર અને દિનેશ મહેશ્વરી પણ સામેલ છે. જસ્ટિસ ખાનવિલકર 29 જુલાઈએ નિવૃત્ત થશે.
એજન્સી CrPC ને અનુસરવા માટે બંધાયેલી હોવી જોઈએ
ધરપકડ, જામીન, મિલકત જપ્ત કરવાનો અધિકાર પીએમએલએ એક્ટ હેઠળ સીઆરપીસીના કાર્યક્ષેત્રની બહાર છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે PSLAની કેટલીક જોગવાઈઓ ગેરબંધારણીય છે કારણ કે કોગ્નિઝેબલ ગુનાની તપાસ અને ટ્રાયલ માટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું નથી. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે તપાસ એજન્સી તપાસ કરતી વખતે CrPCનું પાલન કરવા માટે બંધાયેલી હોવી જોઈએ. આ કેસમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી સહિત ઘણા વકીલોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
17 વર્ષમાં માત્ર 23ને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે
કેન્દ્ર સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે પીએમએલએ એક્ટ 17 વર્ષ પહેલા અમલમાં આવ્યો હતો. ત્યારથી આ કાયદા હેઠળ 5,422 કેસ નોંધાયા છે. જ્યારે માત્ર 23 લોકોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. 31 માર્ચ સુધી EDએ એક લાખ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે અને 992 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.