ભારતની કાર્યવાહીથી ડઘાયુ પાકિસ્તાન, કહ્યુ સિંધુ જળ સંધિ પાકિસ્તાનની 240 કરોડની જનતા માટે જીવાદોરી, આંતરરાષ્ટ્રીય સંધિને ભારત એકલુ રદ ન કરી શકે
પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી કમિટીએ ભારત દ્વારા સિંધુ જળ સંધીને રદ કરવાના નિર્ણયની ટીકા કરી છે. પાકિસ્તાને કહ્યુ કે આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. જેને ભારત એકલુ રદ ન કરી શકે. આ પાકિસ્તાનની 240 કરોડ જનતા માટે લાઈફલાઈન છે અને તેને લઈને પાકિસ્તાન કોઈ જ સમાધાન નહીં કરે.

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની વિરુદ્ધ કડક નિર્ણય કર્યા છે. જેમા પાકિસ્તાની હવાતિયા સ્પષ્ટ જોવા મળી રહી છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આજે તાબડતોબ નેશનલ સિક્યોરિટી કમિટી (NSC)ની બેઠક બોલાવી. જેમાં 22 એપ્રિલે પહલગામમાં થયેલા હુમલા બાદ ઉભી થયેલી સ્થિતિ અને ભારતની કાર્યવાહી પર ચર્ચા કરવામાં આવી. આ બેઠક બાદ પાકિસ્તાને અનેક નિર્ણયો કર્યા છે.
શું કહ્યુ પાકિસ્તાનની NSC
પાકિસ્તાની નેશનલ સિક્યોરિટી કમિટીએ ભારત દ્વારા સિંધુ જળ સંધિ રોકવા માટેના પગલાને સંપૂર્ણ રીતે વખોડ્યુ છે. પાકિસ્તાને કહ્યુ કે આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે, જેને ભારત એકલુ રદ ન કરી શકે. આ પાકિસ્તાનની 240 કરોડની જનતા માટે જીવાદોરી સમાન છે. તેના પર કોઈ સમજૂતિ નહીં થાય. આ સાથે જ પાકિસ્તાને ધમકીના સૂરમાં કહ્યુ કે ભારતે પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોક્યુ કે ડાયવર્ટ કર્યુ તો તેને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે અને તેનો સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાનનો ભારત પર આરોપ
પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો કે આ આંતરાષ્ટ્રીય નિયમો અને યુએના પ્રસ્તાવોનો ભંગ છે. પાકિસ્તાનની અંદર આતંકવાદ ફેલાવે છે. કાશ્મીર પર ગેરકાયદે કબજો કરી લોકો પર અત્યાચાર કરે છે. પાકિસ્તાને કહ્યુ કે સિમલા સમજૂતિ સહિત ભારત સાથે કરવામાં આવેલા તમામ દ્વીપક્ષીય કરારોને રદ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.
પાકિસ્તાને લીધા આ નિર્ણય
- પાકિસ્તાને વાઘા બોર્ડરને તાત્કાલિક બંધ કરી દીધી છે. ભારતથી આવતા જતા લોકોની અવનજવન પર રોક લગાવી દીધી છે. સાથે જ જે લોકો વીઝા વિના પાકિસ્તાન ગયા છે. તેમને 30 એપ્રિલ સુધીમાં પરત ફરવાનું કહેવામાં આવ્યુ છે.
- SAARC વીઝા યોજના અંતર્ગત ભારતીયોને ઈશ્યુ કરવામાં આવેલા તમામ વીઝા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર શીખ તીર્થયાત્રિકો માટે છૂટ આપવામાં આવી છે. બાકીના તમામને 48 કલાકમાં પાકિસ્તાન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતીય રક્ષા, નૌસેના અને વાયુસેના સલાહકારોને 30 એપ્રિલ સુધીમાં તુરંત દેશ છોડવાનો નિર્દેશ આપ્યો છે.
- પાકિસ્તાન સ્થિત ભારતીય હાઈકમિશન સ્ટાફની સંખ્યા પણ 30 સુધી સિમિત કરી દેવાઈ છે.
- ભારતીય એરલાઈન માટે પાકિસ્તાનના એરસ્પેસને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
- ભારત સાથે દરેક પ્રકારનો વેપાર, ભલે પછી તે કોઈ ત્રીજા દેશના રસ્તેથી થતો હોય, તેને તાત્કાલિક રોકી દેવાયો છે
પાકિસ્તાનનો દાવો
પાકિસ્તાને દાવો કર્યો છે કે તેની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને દેશની સંપ્રભુતા, સુરક્ષા અને સન્માનની રક્ષા માટે કંઈપણ કરવા તૈયાર છે.
