ઓરિસ્સાના ઝારસુગુડા જિલ્લામાં એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI) એ રવિવારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન નબ કિશોર દાસને ગોળી મારી દીધી હતી. એક અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ ઘટના જિલ્લાના બ્રજરાજનગર શહેરમાં બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે દાસ એક મીટિંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. હાલ આરોગ્ય મંત્રીની સારવાર ચાલી રહી છે.
પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે તે સબ-ઇન્સ્પેક્ટર હતા જેમણે નબ કિશોર દાસ પર ફાયરિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રી પર ખૂબ જ ટૂંકા અંતરથી ગોળી ચલાવવામાં આવી હતી, તેઓ કારમાંથી બહાર નીકળ્યા કે તરત જ ASIએ તેમના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બ્રજરાજનગર પહોંચ્યા હતા. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં નબ કિશોર દાસ ઘટનાસ્થળે પડેલા છે અને તેમની છાતીમાંથી લોહી નીકળી રહ્યું છે.
આ પણ વાંચો : ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી પર ASI દ્વારા જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા
લોકોએ તેમને કારમાં બેસાડ્યા અને તરત જ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા. એક સમાચાર અનુસાર, પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, પ્રધાન જેવા જ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા, ઘણા લોકો તેમનું સ્વાગત કરવા તેમની સાથે જોડાયા હતા. અચાનક ગોળીબારનો અવાજ આવ્યો. ભીડમાં મંત્રીને ગોળી મારીને એક પોલીસકર્મી ભાગતો જોવા મળ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રીને સ્થાનિક હોસ્પિટલમાંથી એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમની હાલત નાજુક છે. મંત્રી પર ગોળીબાર કરનાર અને જીવલેણ હુમલો કરનાર સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ દાસ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે, જોકે હુમલા પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે નબ કિશોરના વહેલા સ્વસ્થ થવાની કામના કરી છે. આ હુમલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
ઈનપુટ – ભાષા
Published On - 5:39 pm, Sun, 29 January 23