
વિદેશ મંત્રી એસ જયશંકર નેધરલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની આદતો નહીં છોડે અને આતંકવાદી હુમલા ચાલુ રાખે છે તો પાકિસ્તાનને તેના અતિ ગંભીર પરિણામો હવે ભોગવવા પડશે.
તેમણે વધુમાં કહ્યું કે, એવું તો શક્ય જ નથી કે પાકિસ્તાનની સરકાર કે તેની સેનાની જાણ બહાર આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય. ભારતમાં થઈ રહેલા તમામ આતંકવાદી હુમલાઓમાં, પાકિસ્તાનની સેના અને સરકારનો સંપૂર્ણ સાથ અને ટેકો આતંકવાદીઓને મળે છે.
નેધરલેન્ડ્સમાં મીડિયા સાથે વાત કરતી વખતે, એસ જયશંકરે, ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે સર્જાયેલ યુદ્ધ જેવી સ્થિતિમાં ટ્રમ્પે મધ્યસ્થી કરીને યુદ્ધવિરામ કરાવ્યો હોવાની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેનો લશ્કરી સંઘર્ષ પરસ્પર વાતચીત પછી જ સમાપ્ત થયો છે. આમાં કોઈ ત્રીજા પક્ષની, ત્રીજા દેશની કે કોઈ વ્યક્તિની ભૂમિકા નહોતી.
એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન એ વાતનો ઇનકાર કરી શકે નહીં કે પાકિસ્તાનમાં આતંકવાદ ફૂલીફાલી રહ્યો નથી. દુનિયાએ પાકિસ્તાનના મગરના આંસુ જોઈને એવું ના માનવું જોઈએ કે પાકિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે કંઈ ખબર નથી. કારણ કે સંયુક્ત રાષ્ટ્ર (UN) એ એવા ઘણાબધા આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કર્યા છે જેનો સીધો સંબંધ પાકિસ્તાન સાથે છે.
એસ જયશંકરે વધુમાં કહ્યું, ‘સંયુક્ત રાષ્ટ્ર (યુએન) બ્લેકલિસ્ટમાં જે આતંકવાદીઓ છે તેમાના સૌથી વધુ કુખ્યાત આતંકવાદીઓ પાકિસ્તાનમાં જ સંતાયેલા છે.’ તેઓ મોટા શહેરોમાં દિવસે સક્રિય હોય છે. અમને ખબર છે કે તેઓ ક્યાં રહે છે. તેમની પ્રવૃત્તિઓ પણ જાણીતી છે. તેમના પરસ્પર સંપર્કો જાણીતા છે. તો તેઓ એવો ડોળ ના કરી શકે કે પાકિસ્તાન આમાં સામેલ નથી. સરકાર અને સેના બંને આમાં સંપૂર્ણપણે સામેલ છે.
એસ જયશંકરે પાકિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, ‘જો પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં કરે, તો પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે, પાકિસ્તાનીઓએ આ વાત સારી રીતે સમજવી જોઈએ.’ પહેલગામ હુમલાને યાદ કરતાં તેમણે કહ્યું કે જો આવો કોઈ આતંકવાદી હુમલો ફરીથી થશે તો પાકિસ્તાનનો નાક અને નકશો બન્ને બદલાઈ જશે એ ચોક્કસ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને એ ના ભૂલવું જોઈએ કે ઓપરેશન સિંદૂર મુલતવી રખાયું છે, બંધ નથી કરાયું.
તેમણે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલાને યાદ કર્યો, જેમાં 26 હિન્દુ પ્રવાસી લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. પહેલગામ હુમલા અંગે તેમણે કહ્યું કે આ હુમલાને જાણી જોઈને ધાર્મિક રંગ આપવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય દેશમાં ધર્મના આધારે હિંસા વધારવાનો હતો. વધુમાં તેમણે કહ્યું કે દુનિયાએ આવી ક્રિયાઓને સ્વીકારવી જોઈએ નહીં.
દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.