કોંગ્રેસની CECની બેઠકમાં 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારોના નામ પર થયુ મંથન, ગુજરાતમાં આ ઉમેદવારને ગયા ફોન- વીડિયો

આવતીકાલે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. બીજી યાદીમાં ગુજરાતની 24 બેઠકોની નામોની પણ જાહેરાત કરી દેવામાં આવશે. જેમા બનાસકાંઠા, અમદાવાદ પશ્ચિમ, વલસાડ અને પોરબંદર બેઠકના ઉમેદવારોને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે.

| Edited By: | Updated on: Mar 12, 2024 | 4:51 PM

દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમા 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. આવતીકાલે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. બીજી યાદીમાં ગુજરાત કોંગ્રેસના 24 બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને આસામની બેઠકો પર પણ ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.

ગેનીબેન, લલિત વસોયા, ચંદનજી ઠાકોર, ભરત મકવાણાના નામો નક્કી

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને વલસાડ, અમદાવાદ પશ્ચિમ અને પોરબંદર બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે. દિલ્હીમાં ચાલી રહેલી CECની બેઠક દરમિયાન જ પોરબંદરથી લલિત વસોયાને ચૂંટણી લડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હાઈકમાન્ડનો લલિત વસોયા પર ફોન ગયો હતો અને તેમને પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સહિત બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ નિશ્ચિત છે. વલસાડથી અનંત પટેલ, પાટણથી ચંદનજી ઠાકોરને ચૂંટણી લડવાનું કહી દેવામાં આવ્યુ છે અને અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાનું નામ નિશ્ચિત મનાઈ રહ્યુ છે.

વલસાડથી અનંત પટેલ પર પસંદગી

ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં પણ કોંગ્રેસ પોતાના ધારાસભ્યને જ મેદાને ઉતારી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પાસે માત્ર એક જ ધારાસભ્ય છે. નવસારીની વાંસદા બેઠક પર અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. અનંત પટેલ વલસાડથી ચૂંટણી લડી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલ કોંગ્રેસ માટે મોટો ચહેરો છે. આદિવાસીઓ વચ્ચે પોતાના આક્રમક મિજાજના કારણે પણ તેઓ જાણીતા છે.

કોંગ્રેસ ગુજરાતની 24 બેઠકોના ઉમેદવારના નામની કરશે જાહેરાત

ગુજરાતમાં 26 બેઠકો પૈકી 2 બેઠકો પર મહાગઠબંધનને ફાળે જતા કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયુ છે. જેમા કોંગ્રેસે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકો આપને ફાળવી છે. જેમા ભાવનગર બેઠક પર આપના ઉમેશ મકવાણા જ્યારે ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા મેદાને છે. ભાજપે ભાવનગર બેઠક પર હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી, જ્યારે ભરૂચ બેઠક પર મનસુખ વસાવા ભાજપમાંથી સતત સાતમીવાર મેદાને છે.

કોંગ્રેસમાં આ નામોને ટિકિટ મળવાની શક્યતા નહિવત

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકસભામાં કોંગ્રેસ અશોક ગેહલોત, સચિન પાયલોટ, જિતેન્દ્રસિંહ, દિગ્વિજયસિંઘ સહિત કમલનાથને પડતા મુકી શકે છે. તેમને ટિકિટ મળવાની શક્યતા નહિવત બતાવાઈ રહી છે.

આ પણ વાંચો: દિલ્લીમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર સહિત આ રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:23 am, Tue, 12 March 24