મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ (Maharashtra Political Crisis) વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને ED દ્વારા સમન્સ આપવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી છે. સોમવારે બર્ધમાનમાં પાર્ટીની એક બેઠકને સંબોધતા મમતા બેનર્જીએ (Mamata Banerjee) કહ્યું “જે કોઈ પણ ભાજપ વિરુદ્ધ બોલે છે. તેની પાછળ CBI અને ED હોય છે. આજે મહારાષ્ટ્ર શિવસેનાના (Shiv Sena) એક નેતાને બોલાવવામાં આવ્યા છે. આ રીતે જીવન ચાલે છે? શા માટે ડર બતાવવામાં આવે છે? અત્યાર સુધીમાં લાખો લોકો દેશ છોડી ચૂક્યા છે. કેટલા ઉદ્યોગપતિઓ દેશ છોડી ગયા? લોકો આવા ડરમાં કેમ જીવે છે? તમને જણાવી દઈએ કે સંજય રાઉતને 28 જૂને મુંબઈમાં ED ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. રાઉતને પતરા ચૌલ જમીન કૌભાંડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે સીએમ મમતા બેનર્જી સતત કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહી છે. આ પહેલા પણ કોલસાની દાણચોરી મામલે સાંસદ અભિષેક બેનર્જી અને મમતા બેનર્જીની પુત્રવધૂ રૂજીરા બેનર્જીની પૂછપરછ કર્યા બાદ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય એજન્સીઓ પર દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.
મમતા બેનર્જીએ કહ્યું કે “ભાજપે છ મહિનાથી મનરેગાનું કામ 100 દિવસ માટે અટકાવ્યું છે. અહીંથી કેન્દ્ર સરકાર પૈસા લે છે અને તેનો એક ભાગ રાજ્યને આપે છે, પરંતુ છ મહિનાથી ભાજપ સરકારે 100 દિવસના કામ માટે મનરેગાના પૈસા આપ્યા નથી. તેમણે કહ્યું કે 100 દિવસના કામના પૈસા આપો. કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભાજપ સરકાર પશ્ચિમ બંગાળની અવગણના કરે છે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બાંગ્લા આવાસ અને બાંગ્લા સડક યોજનાની રકમ પણ અટકાવી રહી છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ કે રાજસ્થાનના નામની સ્કીમ હોય તો બાંગ્લા નામ રાખવામાં શું વાંધો છે? જ્યારે તેઓ ચૂંટણી સમયે બંગાળ આવે છે, ત્યારે તેઓ રમખાણો કરાવે છે. લોકો વચ્ચે ઝઘડો થાય છે અને હવે બાંગ્લા નામ સામે કેમ વાંધો છે. તેમણે કહ્યું કે તે બાંગ્લા વિશે બોલશે અને દેશની વાત કરશે અને બંગાળી આવાસ યોજના પણ હશે. તેમણે કહ્યું કે ટીએમસીનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય મંત્રીને મળ્યું હતું. જો ફરી પૈસા નહીં મળે તો તે દિલ્હી જશે.