કર્ણાટકના (Karnataka) લિંગાયત મઠમાં સગીર છોકરીઓ સાથે બળાત્કારના આરોપી મહંત શિવમૂર્તિ મુરુઘ શરણારુની (Shivamurthy Murugh Sharanaru) પોલીસે ધરપકડ કરી છે. જે બાદ મેજિસ્ટ્રેટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આરોપીને ચિત્રદુર્ગ જિલ્લા જેલમાં લાવવામાં આવ્યો છે, કોર્ટ ખુલ્યા બાદ પોલીસ આજે તેના રિમાન્ડની માંગણી કરશે. આ પહેલા આરોપીની જામીન અરજી પર સુનાવણી ગુરુવાર પર મુલતવી રાખવામાં આવી હતી. શિવમૂર્તિ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે કર્ણાટક રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું છે.
સરકાર આરોપીઓ પ્રત્યે નરમ વલણ દાખવવાનો આરોપ લગાવીને વિપક્ષ તેને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. દરમિયાન વકીલોના એક જૂથે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખીને જણાવ્યું છે કે આરોપીઓ સામે નિષ્પક્ષ તપાસ થઈ રહી નથી. હજુ સુધી તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી નથી. આ બાબતો દર્શાવે છે કે તપાસ યોગ્ય રીતે થઈ રહી નથી. આ કેસમાં મહંત સહિત પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ મામલે વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે આરોપીને નિયત પ્રક્રિયા મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે પ્રક્રિયા અનુસાર મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. મંગળવારે, ચિત્રદુર્ગની જિલ્લા સત્ર અદાલતે મુરુગા મઠના મુખ્ય પૂજારીની આગોતરા જામીન અરજીને 1 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી.
તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ ડીકે શિવકુમાર અને કેસી વેણુગોપાલ સાથે ચિત્રદુર્ગમાં મુરુગા મઠની મુલાકાત લીધી હતી. મુરુગા મઠને પ્રભાવશાળી સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં નિયમિત મુલાકાત લેનારા રાજકારણીઓની લાંબી યાદી છે. મહંતે રાહુલ ગાંધીને ‘લિંગાદીક્ષા’ પણ આપી હતી, લિંગાદીક્ષા એ એક ધાર્મિક વિધિ છે, જેમાં વ્યક્તિને લિંગાયત સંપ્રદાયમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે.