જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) શાંતિ પ્રક્રિયાને ખલેલ પહોંચાડવાના દુશ્મનના નાપાક મનસૂબાને ફરી એકવાર સતર્ક સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા છે. ભારતીય સેના (Indian Army) અને એસઓજીના સતર્ક સૈનિકોએ રવિવારે મોડી સાંજે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં તેમણે મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો (Arms and Ammunition) જપ્ત કર્યો હતો. આ સર્ચ ઓપરેશન પૂંચ બ્રિગેડ અને વ્હાઇટ નાઈટ કોર્પ્સના SOG દ્વારા પૂંચ જિલ્લાના તાલુકા હવેલીના નૂરકોટ ગામ ખાતે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું.
આ ગામ નિયંત્રણ રેખાને અડીને આવેલું છે. દરોડા દરમિયાન સૈનિકોએ બે એકે-47 રાઈફલ, બે એકે-47 મેગેઝીન, એક 223 બોર એકે શેપગન, બે 233 બોર એકે શેપગન મેગેઝીન, એક ચાઈનીઝ પિસ્તોલ, એક ચાઈનીઝ પિસ્તોલ મેગેઝીન અને 63 એકે-47 રાઉન્ડ મળી આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે, હથિયાર મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ગામના લોકોને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિના કિસ્સામાં સેના અથવા પોલીસને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હથિયારો જોઈને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ હુમલો કરવાના ઈરાદાથી અહીં છુપાયેલા હતા.
આ પહેલા સુરક્ષા દળોએ ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી હતી. ત્યારપછી પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, આતંકવાદીઓના કબજામાંથી પિસ્તોલ સહિત હથિયારો અને દારૂગોળો જેવી ઘણી ગુનાહિત સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને બડગામના સુનેરગુંડ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે.
તેમની ઓળખ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના રહેવાસી વસીમ અહેમદ ગનાઈ અને ઈકબાલ અશરફ શેખ તરીકે થઈ છે. પ્રવક્તાએ કહ્યું કે, આતંકવાદીઓ પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન, 12 પિસ્તોલ રાઉન્ડ અને 32 એકે-47 રાઉન્ડ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે, કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ECIL Recruitment 2022: ECILમાં જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે અરજી કરો
આ પણ વાંચો: SSC CGL Admit Card 2021: SSC CGL એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, ssc.nic.in પરથી કરો ડાઉનલોડ