મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ કોણે આપ્યું હતું, શું છે તેના પાછળની કહાની ?
ભારતની આઝાદી માટે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ લડવૈયાઓમાંના એક છે મહાત્મા ગાંધી જેમને 'રાષ્ટ્રપિતા'નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા.

15મી ઓગસ્ટ એ તારીખ છે જ્યારે ભારતે બ્રિટિશરોથી આઝાદી મેળવી હતી. વિદેશી શક્તિઓએ દેશના નેતાઓને ભારતના નિયંત્રણની લગામ સોંપી દીધી હતી. પરંતુ આ આઝાદી પાછળ સેંકડો લોકોનો સંઘર્ષ હતો. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ લડવૈયાઓમાંના એક છે મહાત્મા ગાંધી જેમને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા.
મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કોણે કહ્યા ?
એવું મનાય છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સૌપ્રથમ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ ગાંધીજીના મૃત્યુ પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને કહ્યું હતું કે ‘રાષ્ટ્રપિતા હવે નથી રહ્યા’. પરંતુ તેમના પહેલા કોંગ્રેસના નેતા સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહ્યા હતા.
મતભેદો હોવા છતાં રાષ્ટ્રપિતા માનતા હતા
સુભાષચંદ્ર બોઝ ગાંધીજીને ખૂબ માન આપતા હતા. પરંતુ તેમના માટે ગાંધીજીની ઈચ્છા એ અંતિમ નિર્ણય ન હતો. 1940માં કોંગ્રેસની યોજનાઓથી દૂર કામ કરી રહેલા સુભાષ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ 9 જુલાઈ, 1940ના રોજ સેવાગ્રામમાં કહ્યું હતું કે, સુભાષ બાબુ જેવા મહાન વ્યક્તિની ધરપકડ એ કોઈ નાનીસૂની વાત નથી, પરંતુ સુભાષબાબુએ ખૂબ સમજણ અને હિંમતથી તેમની લડાઈનું આયોજન કર્યું છે.
અંગ્રેજોની ચુંગાલમાંથી છટકીને સુભાષચંદ્ર બોઝ જુલાઈ 1943માં જર્મનીથી જાપાનના નિયંત્રણ હેઠળના સિંગાપોર પહોંચ્યા હતા. 4 જૂન, 1944ના રોજ સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી એક સંદેશ પ્રસારિત કર્યો અને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. સુભાષ બોઝે કહ્યું કે, ભારતની આઝાદીની છેલ્લી લડાઈ શરૂ થઈ ગઈ છે. જ્યાં સુધી અંગ્રેજોને દેશમાંથી ઉખેડી નાખવામાં ન આવે ત્યાં સુધી આ સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહેશે. થોડીવાર અટકીને તેમણે કહ્યું, રાષ્ટ્રપિતા, અમે ભારતની આઝાદીની લડાઈમાં તમારા આશીર્વાદ માંગીએ છીએ.
