રાજધાની દિલ્લીમાં આજે ભાજપ શાસિત તમામ રાજ્યોના (BJP ruled states) મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોની મહત્વની બેઠક યોજાશે. દિલ્લીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાનારી આ બેઠકનું નેતૃત્વ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને બીએલ સંતોષ કરશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપ દ્વારા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે રાજ્યોમાં સરકારની રણનીતિઓ પર પણ ચર્ચા થવાની છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાજ્યોના કામકાજ પર પણ ચર્ચા થશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે દિલ્લીમાં યોજાનારી મુખ્ય પ્રધાનોની બેઠકમાં મોદી સરકારના છેલ્લા 8 વર્ષમાં થયેલા કામોને જનતા સમક્ષ રજૂ કરવાની રણનીતિ તૈયાર કરવા પર ચર્ચા થઈ શકે છે. આ સાથે કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવા માટે વાતચીત થઈ શકે છે. એવી વાત પણ સામે આવી છે કે પાર્ટીને મજબૂત કરવા અને આગળના સ્તરે કમિટી બનાવવાની પણ આ બેઠકમાં મંજૂરી મળી શકે છે.
બીજી તરફ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે જ પાર્ટીના રાજ્ય એકમોમાં કેટલીક મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિમણૂંકો કરી હતી. આ અંતર્ગત કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના રાજેશ જીવીને સંગઠનના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજેશ જીવીએ અરુણ કુમારની જગ્યા લીધી છે. કુમાર આરએસએસમાં પાછા ફર્યા છે. બીજેપી દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, પૂર્વોત્તર રાજ્યોમાં પ્રાદેશિક સંગઠન મહામંત્રીની જવાબદારી સંભાળી રહેલા અજય જામવાલને મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પ્રદેશ સંગઠન મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેલંગાણામાં ભાજપના સંગઠન મહાસચિવનું કામ સંભાળી રહેલા એમ શ્રીનિવાસુલુને પંજાબમાં સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. ગોવામાં ભાજપના મહાસચિવની જવાબદારી સંભાળી રહેલા સતીશ ધોંડ હવે પશ્ચિમ બંગાળમાં પાર્ટીના સહ-સંગઠન મહાસચિવનું કામ સંભાળશે. તેનું કેન્દ્ર આસનસોલ હશે. ભાજપમાં સંગઠન મહામંત્રીનું પદ ખૂબ મહત્વનું અને શક્તિશાળી છે. આ પદ પર આરએસએસમાંથી આવેલા લોકોને જવાબદારી સોંપવામાં આવે છે. સંગઠન મહાસચિવ સંઘ અને ભાજપ વચ્ચેની કડી તરીકે પણ કામ કરે છે અને મુખ્ય સંગઠનાત્મક પ્રવૃત્તિઓ પણ કરે છે.