કોંગ્રેસ (Congress) નેતા અધીર રંજન ચૌધરીના (Adhir Ranjan Chowdhury) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને (Droupadi Murmu) રાષ્ટ્રપત્ની કહીને સંબોધિત કરવાના નિવેદન પર વિવાદ ઉભો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આકરા પ્રહારો કર્યા છે. દરમિયાન, અધીર રંજને રાષ્ટ્રપતિ પર કરવામાં આવેલી ટિપ્પણી પર સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે કહ્યું છે કે, બે દિવસથી જ્યારે અમે વિજય ચોક તરફ જઈ રહ્યા હતા. અમને પૂછવામાં આવ્યું કે તમે ક્યાં જાઓ છો. અમે તેમને કહી રહ્યા હતા કે અમે રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિને મળવા માંગીએ છીએ. ગઈકાલે મારાથી ભૂલથી આ શબ્દ બોલાઈ ગયો હતો. હું જાણું છું કે જે કોઈ ભારતના રાષ્ટ્રપતિ છે, તે આપણા માટે રાષ્ટ્રપતિ છે. આ શબ્દ માત્ર એક જ વાર આવ્યો છે. આ ભૂલ થઈ છે, પરંતુ સત્તાધારી પક્ષના કેટલાક લોકો રાઈનો પહાડ બનાવી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અધીર રંજન ચૌધરીને કહ્યું છે કે તેઓ આ મુદ્દે લોકસભામાં પોતાનું સ્ટેન્ડ રજૂ કરે અને ખેદ વ્યક્ત કરે. કોંગ્રેસ પાર્ટીના નેતાએ લોકસભાના અધ્યક્ષને વિનંતી કરી છે કે તેઓ તેમના નિવેદન માટે તેમના પર લાગેલા આરોપો પર ગૃહમાં બોલવાની તક આપે. આ અંગે તેમણે એક પત્ર આપ્યો છે.
સોનિયા ગાંધીની માફી માંગવાના મુદ્દે અધીર રંજન ચૌધરીએ કહ્યું, હું રાષ્ટ્રપતિનું અપમાન કરવાનું વિચારી પણ શકતો નથી. આ એક ભૂલ હતી. જો રાષ્ટ્રપતિ નારાજ થયા હોય તો હું તેમને વ્યક્તિગત રીતે મળીશ અને માફી માંગીશ. જો તેઓ ઈચ્છે તો મને ફાંસી આપી શકે છે. હું સજા ભોગવવા તૈયાર છું, પરંતુ આ કેસમાં સોનિયા ગાંધીને કેમ લાવવામાં આવી રહ્યા છે?
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અધીર રંજન ચૌધરીને આડે હાથ લીધા હતા. દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારથી કોંગ્રેસ પાર્ટીના ધિક્કાર અને ઉપહાસનું કેન્દ્ર બની છે. ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ દ્રૌપદી મુર્મુજીને કઠપૂતળી કહ્યા તેમજ અશુભ અને અમંગલનું પ્રતિક ગણાવ્યા હતા.
તેમણે કહ્યુ કે, ઐતિહાસિક ચૂંટણી જીત્યા પછી, કોંગ્રેસ હજી પણ એ હકીકત સ્વીકારવામાં અસમર્થ છે કે આદિવાસી ગરીબ મહિલા દેશના સર્વોચ્ચ બંધારણીય પદને શણગારે છે. સોનિયા ગાંધી દ્વારા નિયુક્ત કરાયેલા ગૃહના નેતા અધીર રંજનજીએ દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધ્યા હતા. એ જાણીને કે આ સંબોધન ભારતના દરેક મૂલ્ય, દરેક સંસ્કૃતિની વિરુદ્ધ છે. આ સંબોધન એ સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમા વિરુદ્ધ છે, ત્યારે પણ કોંગ્રેસના આ પુરુષ નેતાએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું.
Published On - 3:40 pm, Thu, 28 July 22