રાજ્યસભાની (Rajya Sabha) આગામી 10મી જૂનના રોજ યોજાનાર ચૂંટણીમાં ક્રોસ વોટિંગ (Cross voting) થવાની આશંકા વચ્ચે, કોંગ્રેસ નેતૃત્વએ ગુરુવારે નવી દિલ્લીમાં બેઠક માટે ટોચના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડા સહિત હરિયાણા (Haryana) ના 31 ધારાસભ્યોને બોલાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માના પુત્ર કાર્તિકેય શર્મા (Kartikeya Sharma) એ હરિયાણાથી રાજ્યસભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસે આ પગલું ભર્યું છે. શર્માને હરિયાણામાં જેજેપીના 10 ધારાસભ્યોનું સમર્થન છે અને તેમને બીજેપી તેમજ કેટલાક અપક્ષોનું સમર્થન મળે તેવી શક્યતા છે. કોંગ્રેસ તરફથી અજય માકન રાજ્યસભાના ઉમેદવાર છે. પાર્ટી નેતૃત્વ પહેલા તમામ ધારાસભ્યોની બેઠક કરશે અને પછી તેમને છત્તીસગઢની રાજધાની રાયપુરના એક રિસોર્ટમાં મોકલશે.
હરિયાણાના પાર્ટી બાબતોના પ્રભારી વિવેક બંસલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું: “હા, પાર્ટી હાઈકમાન્ડે તમામ ધારાસભ્યોને ગુરુવારે દિલ્લી પહોંચવાનું કહ્યું છે. તમામ ધારાસભ્યોની બેઠક 15, આરજી રોડ, દિલ્લી ખાતે યોજાશે. રાહુલ ગાંધી દિલ્હીમાં નથી, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કે અન્ય કયા નેતા, હરિયાણાના ધારાસભ્યોની બેઠકની અધ્યક્ષતા કરશે.
તેમણે સ્વીકાર્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની શક્યતાને રોકવા માટે પાર્ટીએ તમામ ધારાસભ્યોને નવી દિલ્લી બોલાવ્યા છે. તેમણે કહ્યું કે એવી પણ સંભાવના છે કે તમામ ધારાસભ્યોને હરિયાણાની બહાર મોકલવામાં આવશે અને તેમને કોઈ હોટેલ કે રિસોર્ટમાં સાથે રાખવામાં આવશે. બંસલે જણાવ્યું હતું કે, નવી દિલ્લીમાં બેઠક બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુનર્ગઠનમાં વિચારણા ન થયા બાદ પાર્ટીના કાર્યક્રમોથી દૂર રહેલા કોંગ્રેસના આદમપુરના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ ગુરુવારની બેઠકમાં ભાગ નહીં લે અને રિસોર્ટમાં અન્ય ધારાસભ્યો સાથે જોડાશે નહીં.