Gujarat : વાવાઝોડાની તારાજીથી પૂર્વવત થવા કેન્દ્ર સરકાર સમક્ષ રૂ. 9836 કરોડની સહાયની જરૂરિયાત, રાજય સરકારે તૈયાર કર્યું મેમોરેન્ડમ
Gujarat : તાજેતરમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. ૯૮૩૬ કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે.
Gujarat : તાજેતરમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઉદભવેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધાના કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમના નેતૃત્વમાં નુકશાની સામે પૂર્વવત સ્થિતી માટે આ કેન્દ્રીય સહાયની જરૂરિયાત અંગે આ આવેદનપત્રમાં રજુઆતો કરી છે.
વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકશાન સામે NDRFના ધોરણે સહાય કેન્દ્ર સરકાર સહાય કરે તેવી ભારપૂર્વક રજૂઆત કરાઇ છે. આવેદનપત્રમાં રાજ્યમાં વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નુકશાન સામે ભારત સરકાર પાસે NDRFના ધોરણે રૂ. 9836 કરોડની સહાયની અપેક્ષા વ્યકત કરાઇ છે.
રાજ્ય સરકારે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં અત્યારસુધી આવેલા વાવાઝોડા કરતાં આ તાઉ તે વાવાઝોડું વિકરાળ અને વિનાશક વાવાઝોડું હતું. એટલું જ નહિ, તાઉ તે વાવાઝોડાની તિવ્રતાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, આવશ્યક ચીજવસ્તુઓ પાણી, વીજળી, રસ્તા, મોબાઇલ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકશાન થયું છે.
આ તીવ્ર વાવાઝોડાએ બાગાયતી પાકોના વૃક્ષો અને ખેતી પાકોના ઝાડ-વૃક્ષ મૂળ સાથે ઉખેડી નાખ્યા છે. સમગ્ર જનજીવનને પણ અસર પહોંચી છે. તેમ આ મેમોરેન્ડમમાં ખેતીવાડી-બાગાયતી ક્ષેત્રના નુકશાનમાંથી પૂર્વવત થવા કેન્દ્રીય સહાયની જરૂરિયાત રાજ્ય સરકારને રહેશે તેવી રજુઆત થઇ છે.
આ તાઉ તે વાવાઝોડું રાજ્યમાં પાછલા 50 વર્ષમાં આવેલા તમામ વાવાઝોડાથી વધુ તિવ્ર અને માલ-મિલ્કતને વ્યાપક તારાજી કરનારું વાવાઝોડું છે એવો પણ મેમોરેન્ડમમાં ઉલ્લેખ છે. તાઉ તે વાવાઝોડાએ રાજ્યના 23 જિલ્લાઓને અસર કરી છે. આ વિનાશક વાવાઝોડું 28 કલાક સુધી ગુજરાતને ઘમરોળીને રાજસ્થાન તરફ ફંટાયું હતું.
આ વાવાઝોડાને પરિણામે માનવ હાનિ-જાનહાનિ, પશુમૃત્યુ, મિલ્કતોને નુકશાન અને અન્ય મહત્વના ક્ષેત્રોનો કેપિટલ લોસ સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં થયો છે.રાજ્યમાં હવાઈપટ્ટીઓ, વીજ, સિંચાઈ અને જળ વિતરણ સહિતના આંતરમાળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. કૃષિ અને પાક વાવેતરમાં પણ મોટું નુકસાન થયું છે. અને અસરગ્રસ્ત વિવિધ જિલ્લાઓમાં પશુધનની મોટાપાયે જાનહાનિ થયું છે.
કેન્દ્રીય સહાય માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે રજુ કરેલા આ મેમોરેન્ડમમાં જુદા-જુદા સેક્ટરમાં જે નુકસાન થયું છે તેની વિસ્તૃત વિગતો રજુ કરાઇ છે. જેમાં કૃષિ અને બાગાયતી વિભાગ, ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, માર્ગ-મકાન, મત્સ્યોદ્યોગ, વન, શહેરી વિકાસ, શિક્ષણ વગેરે વિભાગોના નુકશાનમાંથી પૂર્વવત થવા ગુજરાતને જરૂરિયાત હોવાનો અંદાજ રજુ થયો છે.
આ સહાય ભારત સરકાર NDRFમાંથી ગુજરાતને ફાળવે તેવી આગ્રહભરી વિનંતી પણ કરાઇ છે. એટલું જ નહિ, રાજ્ય સરકારે SDRF માટે પણ રૂ. 500 કરોડની વધારાની સહાયની માંગણી કરી છે.