E20 પેટ્રોલ મુદ્દે સરકાર એટલી જ સાચી હોય તો RTI માં માગેલી માહિતી આપવાનો ઈનકાર કેમ? એવો તો ક્યો ગોપનિય ડેટા જાહેર નથી કરાઈ રહ્યો?

છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે E-20 ને લાગુ કરી દેવાયુ છે, જેનાથી લોકોને ફાયદો થશે. જો કે લોકો સતત સરકારને સવાલ કરતા જોવા મળ્યા કે E-20 ઈથેનોલ મિશ્રીત પેટ્રોલને કઈ કંપનીની ગાડીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યુ. કઈ કંપનીની ટુવ્હીલર બાઈક પર તેનો ટેસ્ટ કર્યો તેનો રેકોર્ડ, ડેટા તો સરકાર પાસે હશેને. સરકાર જણાવે છે કે હા તેમણે સંશોધનો કર્યા છે, પરંતુ જ્યારે સરકાર પાસે આ અંગે RTI માં સંશોધનનો ડેટા માગવામાં આવ્યો તો તેને ગોપનિય ગણાવીને સરકારે આપવાનો ઈનકાર કરી દીધો. તો સવાલ એ છે કે જે જનતાની લાખો રૂપિયાની ગાડીઓ પર સરકાર પ્રયોગ કરવા જઈ રહી છે તેનો એવો તો કેવો ગોપનિય ડેટા છે કે સરકાર જનતાને આપી નથી રહી? E-20 પેટ્રોલની અન્ય ડાર્ક સાઈડ શું છે તેના વિશે જાણીએ વિગતવાર..

E20 પેટ્રોલ મુદ્દે સરકાર એટલી જ સાચી હોય તો RTI માં માગેલી માહિતી આપવાનો ઈનકાર કેમ? એવો તો ક્યો ગોપનિય ડેટા જાહેર નથી કરાઈ રહ્યો?
| Updated on: Jul 07, 2026 | 8:31 PM

તમારી ગાડીમાં ભરવામાં આવતા પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રીત કરીને સરકાર આપી રહી છે, જે 2025 બાદ સંપૂર્ણ રીતે દેશમાં રોલ આઉટ થઈ ચુક્યુ છે. હાલ સોશિયલ મીડિય પર ચર્ચા એ થઈ રહી છે કે ગાડીઓમાં ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ નાખવાથી ગાડીઓની માઈલેજ પર અસર પડી રહી છે. જુની ગાડીઓ જે ઈથેનોલ માટે કમ્પેટિબલ ન હતી તે ગાડીઓની અંદર કાર્બોરેટર્સ અને ફિલ્ટર્સને કાટ લાગી રહ્યો છે. ગાડીઓની માઈલેજ ઘટી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. અંગે સરકાર એવો તર્ક આપે છે કે E-20 પેટ્રોલ એ ભારતમાં નવુ નથી. બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, થાઈલેન્ડ અને અમેરિકામાં વર્ષોથી આ પ્રકારે ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ ભરવામાં આવી રહ્યુ છે. બ્રાઝિલમાં 2007 થી આ પ્રેકટિસ શરૂ છે તો તમે માત્ર ત્રણ વર્ષની અંદર રોલઆઉટ કરી દીધુ.

ઈથેનોલ આવવાથી પણ જનતાને શું ફાયદો? ભાવમાં તો ઓછા ન થયા

બીજી દલીલ સરકાર એવી આપે છે કે અમેરિકા, જર્મની, ફ્રાંસમાં પણ ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ વેચાય છે અને તેનાથી ઈમ્પોર્ટ બિલને ઓછુ કરવામાં મદદ કરી છે. ઈમ્પોર્ટ બિલ વધવાથી દેશની બિઝનેસ લોબીને નુકસાન જઈ રહ્યુ છે. તો સરકારે એ સમજવુ જોઈએ કે અહીં કોઈ બિઝનેસ લોબી વિરોધ નથી કરી રહી, અહીં વિરોધ જનતા તરફથી કરવામાં આવી રહ્યો છે. જો બિઝનેસ લોબીને નુકસાન થયુ હોત તો આમ જનતાને ફાયદો થવો જોઈતો હતો પરંતુ આમ થયુ નથી. 20% ઈથેનોલ મિશ્રીત કર્યા બાદ હજુ સુધી આમ જનતા સુધી કોઈ લાભ ટ્રાન્સફર કરવામાં નથી આવ્યો. એવામાં એવુ કહેવુ કે અમે ઈથેનોલ લાવીને દેશનું ભલુ કરી દીધુ તો સત્ય એ છે કે ઈથેનોલને પણ તમે પેટ્રોલની કિંમતે વેચ્યુ છે. રુ.60 પ્રતિ લિટરે મળનારુ ઈથેનોલ જનતા તો રુ.100 ના પેટ્રોલ રૂપે જ ખરીદી રહી છે.

ત્રીજી દલીલ સરકાર એવી આપી રહી છે કે જુની સરકારોએ તેને રોલઆઉટ કર્યુ હતુ, અમે તો માત્ર તેને લંબાવ્યો છે. આના પર સત્તાધારી પાર્ટીના વિરોધમાં અને વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યો છે કે હાલની સરકાર ક્યાં સુધી નહેરુ પર બોજો નાખતી રહેશે?

એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં  કેમ કહ્યુ કે આ ‘એક્સપેરિમેન્ટલ ફેઝ’ છે?

સૌથી વધુ ચોંકાવનારી અને સરકારને ખુલ્લી પાડતી બાબત એ છે કે દેશની સુપ્રીમ કોર્ટની અંદર સરકાર તરફથી જે એટોર્ની જનરલ હાજર રહ્યા તેમણે કહ્યુ હતુ કે આ પ્રયોગાત્મક તબક્કામાં છે. જેના માટે સફાઈ આપવા ખુદ સરકારે આવવુ પડ્યુ કે આ એક્સપેરિમેન્ટલ નથી.

જે બાદ એટોર્ની જનરલના સુપ્રીમ કોર્ટમાં આપેલા આ નિવેદનની ક્લિપિંગ વાયરલ થઈ ગઈ. તો સવાલ એ ઉઠે છે કે શું ગરીબોની ગાડીઓ, ટુવ્હીલરો કે દેશનો આમ નાગરિક સરકાર માટે કોઈ ઉંદર સમાન છે કે તેના પર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે?

સરકાર એટલી જ સાચી છે તો સંશોધનના ડેટાની જાણકારી કેમ ન આપી ?

આ સવાલો એટલા માટે થવા લાગ્યા કારણ કે સરકારે વારંવાર તેમના તરફથી કરવામાં આવતા સ્પષ્ટીકરમાં એ જ કહ્યુ કે અમારી પાસે સંશોધનો ઉપલબ્ધ છે, નચિકેત દેશપાંડે નામના એક્ટિવિસ્ટ જ્યારે RTI દ્વારા સરકાર પાસે આ અંગેની જાણકારી માગી કે સરકારે ગાડીઓ પર કરેલી રિસર્ચનો ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવે. જેના પર સરકારે એવો જવાબ આપ્યો કે આ જાણકારી ગોપનિય છે. ત્યારે સવાલ એ છે કે એવી તો કઈ ગોપનીય જાણકારી છે જે આમ જનતા સાથે જોડાયેલી હોવા છતા સરકાર તેને જાહેર નથી કરી શક્તી?

જનતાની દલીલ એ જ હતી કે જુની ગાડીઓ ઈથેનોલ મિશ્રીત પેટ્રોલને ઝેલી નહીં શકે. ગાડીઓના એન્જિન તેના માટે સક્ષમ જ નથી. કારણ સ્પષ્ટ છે કે ગાડીમાં થોડુ પણ પાણી જાય તો કાટ લાગવાની સેંકડો ફરિયાદો આવી ચુકી છે.  આટલી ફરિયાદો છતા સરકાર તરફથી એક જ લાઈનમાં જવાબ આપવામાં આવ્યો કે E-20 પેટ્રોલથી ગાડીઓની પરફોર્મેન્સ કે ટકાઉપણા પર સામે કોઈ ખતરો નથી. અમે તેનુ પુરેપુરુ સંશોધન કરાવ્યુ છે. પરંતુ સંશોધનનો ડેટા સરકાર ગોપનિય રાખશે. આવુ કહી સરકારે ન માત્ર E-20 ઈથેનોલને સમગ્ર દેશમાં લાગુ કરી દીધુ. હદ તો એ છે કે સરકાર હવે 30% ઈથેનોલ લાવવાની તૈયારીમાં છે. પ્લેક્સ ફ્યુલ એટલે 85% ઈથેનોલ ફ્યુલ ગાડીઓમાં નાખી વેચવાની કવાયત ચાલી રહી છે.

હવે સવાલ સરકારની નિયત સામે ઉઠી રહ્યા છે. સરકારે કઈ ગાડીઓના મોડેલ પર E-20 ઈથેનોલનો પ્રયોગ કર્યો તે જણાવી નથી રહી. ના તો તેના સંશોધનનો ડેટા જાહેર કરી રહી છે. સરકારે ક્યારેય નથી જણાવ્યુ કે તેમણે ક્યાં મોડેલની ગાડીમાં ઈથેનોલ ભર્યુ અને તેની માઈલેજ પર શું ફર્ક પડ્યો તે ક્યારેય જણાવ્યુ નથી. આવી સ્થિતિમાં જેટલા પણ સંગઠનો છે તેના નિવેદનોને બદ ઈરાદા સાથે રજૂ કરાયા. એટલે કે સરકારની જવાબ આપવાની જે પ્રક્રિયા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પુરાવા રજૂ કરવાને બદલે આરોપ પ્રત્યારોપની વધુ હતી. આ આખોય મુદ્દો બહાર કેવી રીતે આવ્યો, તેના મૂળમાં જઈ એ તો મામલો માત્ર ગડકરી પૂરતો સીમિત નથી. અહીં ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ રહેલી છે.

ભારત સરકારની કંપની BPCL અને કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાનો શું છે વિવાદ?

  • આ વિવાદ ભારત સરકારની મહારત્ન કંપની BPCL (Bharat Petroleum Corporation Limited) અને કર્ણાટકની એક ખાનગી ડિસલરી (સુગર મિલ) વચ્ચેના ગજગ્રાહથી શરૂ થયો છે.
  • આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં કર્ણાટકની એક કંપની ‘વિમ ડિસલરીઝ એન્ડ શુગર પ્રાઇવેટ લિમિટેડ’છે. આ કંપની ઇથેનોલનું ઉત્પાદન કરે છે અને ભારત સરકારની કંપની BPCL ને તે વેચે છે.

વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વિમ ડિસલરીઝે કર્ણાટક હાઈકોર્ટમાં BPCL સામે ફરિયાદ કરી કે તેમની પાસે વાર્ષિક 9.9 કરોડ લિટર ઇથેનોલ બનાવવાની ક્ષમતા છે, પરંતુ BPCL તેમની પાસેથી માત્ર 3.92 કરોડ લિટર જ ઇથેનોલ ખરીદી રહી છે. કંપનીની માંગ હતી કે જ્યારે સરકાર દેશભરમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વધારવાની વાત કરી રહી છે, તો તેમની પાસેથી પણ વધુ ઇથેનોલ ખરીદવુ જોઈએ.

કર્ણાટક હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો?

હાઈકોર્ટે આ કેસની સુનાવણી બાદ BPCL ને આદેશ આપ્યો કે તેઓ વિમ ડિસલરીઝ પાસેથી ઇથેનોલની ખરીદી વધારવા પર વિચાર કરે. કોર્ટે સૂચવ્યું કે ‘લોંગ ટર્મ ઓફટેક એગ્રીમેન્ટ’ હેઠળ આ કંપનીને પ્રાથમિકતા આપવી જોઈએ.

જો કે હવે BPCL કર્ણાટક હાઈકોર્ટના આ આદેશ સામે BPCL સીધી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ. સુપ્રીમ કોર્ટમાં BPCL તરફથી હાજર રહેલા ભારતની સરકારના એટર્ની જનરલે દલીલ કરી હતી કે દેશમાં અત્યારે 378 સપ્લાયર્સ છે અને તેઓ મર્યાદિત માત્રામાં જ ઇથેનોલ ખરીદી શકે છે. આ સુનાવણી દરમિયાન જ એટર્ની જનરલે એક એવું નિવેદન આપ્યું જેનાથી મોટો હોબાળો થયો.
તેમણે કહ્યું હતુ કે, સરકાર અત્યારે “એક્સપેરિમેન્ટલ ફેઝ” (પ્રાયોગિક તબક્કા) માં છે અને ભવિષ્યમાં ઇથેનોલની માંગ વધશે કે ઘટશે તે અત્યારે કહી શકાય તેમ નથી, તેથી તેઓ કોઈ કંપનીને અત્યારથી વધુ ખરીદીનું કમિટમેન્ટ આપી શકે નહીં. જે બાદ સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી.

હવે એટર્ની જનરલે સુપ્રીમમાં આપેલી દલીલ બાદ લોકોને ફાળ પડી કે સરકાર સામાન્ય જનતાની ગાડીઓ પર માત્ર પ્રયોગ કરી રહી છે અને ત્યાંથી જ સમગ્ર બખેડો શરૂ થયો છે.

ન માત્ર કાયદાકીય લડાઈ રાજકીય કિન્નાખોરી પણ જવાબદાર

હવે આપને એ પણ જણાવી દઈએ કે કર્ણાટકની ખાનગી વિમ ડિસલરીઝ કંપની અને BPCL ના વિવાદ પાછળ રાજકીય કિન્નાખોરી પણ રહેલી છે. એ એટલા માટે કે વિમ ડિસલરીઝના માલિકો શિવરામ હબ્બર અને તેમના પુત્ર વિવેક હબ્બર છે. શિવરામ હબ્બર કર્ણાટકમાં ભાજપ સરકારમાં મંત્રી હતા અને જે-તે સમયે શુગર મિલ વિભાગ સંભાળતા હતા. જો કે બાદમાં તેમના પુત્રએ કોંગ્રેસ જોઈન કરી લીધી અને પિતા શિવરામ હબ્બરને પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે ભાજપમાંથી બહાર કરવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર સત્તા અને પક્ષ પરિવર્તનને કારમે જ કદાચ કંપનીના ઇથેનોલ કોટા પર કાપ મૂકવામાં આવ્યો હોય તેવી શક્યતા છે.આમ, BPCL અને કર્ણાટક હાઈકોર્ટનો આ વિવાદ માત્ર ઇથેનોલની ખરીદી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં સરકારની ઇથેનોલ નીતિની પારદર્શિતા અને રાજકીય સમીકરણો પણ જોડાયેલા છે

શું ભારતમાં ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે? ભારત સરકારે મેટાને આપ્યુ 7 દિવસનું અલ્ટીમેટમ

 

Published On - 8:24 pm, Tue, 7 July 26

Follow Us