ગઢવાલ હિમાલયની ઊંચી ટેકરીઓ પર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના દરવાજા આ વર્ષે 27મી એપ્રિલે ભક્તો માટે ખુલશે. ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર સ્થિત ટિહરી રાજમહેલમાં વસંત પંચમીના અવસર પર આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પંચાંગની ગણતરી બાદ વિધિ વિધાન અનુસાર બદરીનાથ ધામના દરવાજા ખોલવાનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે સવારે 07:10 કલાકે ખોલવામાં આવશે.
ચમોલી જિલ્લામાં સ્થિત ભગવાન વિષ્ણુને સમર્પિત બદ્રીનાથ ધામના દરવાજા ગયા વર્ષે 19 નવેમ્બરે શિયાળામાં બંધ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટિહરીના રાજવી પરિવારના સભ્યો, મંદિર સમિતિના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બદ્રીનાથ સહિત ચારધામના શિયાળામાં કડકડતી ઠંડીને કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બદ્રીનાથધામના દરવાજા ભક્તો માટે બંધ કરવામાં આવે છે, જે બીજા વર્ષે એપ્રિલ-મેમાં ફરી ખુલે છે.
ચારધામની યાત્રા આગામી એપ્રિલ મહિનામાં પ્રારંભ થશે. પરંતુ બદ્રીનાથધામ જવા માટે યાત્રાળુઓને જોશીમઠ થઈને જવુ પડતુ હોય છે. જોશીમઠમાં સતત જમીન ધસી રહી હોવાથી અનેક ઘર અને હોટલની ઈમારતોમાં મોટી મોટી તીરાડ પડી ગઈ છે. આવા મકાન યાત્રાળુઓ માટે ભયજનક છે.
2022ના વર્ષમાં કુલ 17 લાખ 65 હજાર 649 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ પહોંચ્યા હતા અને આ પણ એક રેકોર્ડ છે. ચાર ધામ યાત્રામાં સામેલ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરો ઓક્ટોબરમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. કોરોનાના બે વર્ષના સમયગાળા પછી, 2022ના વર્ષમાં ચાર ધામ યાત્રા કોવિડ પ્રોટોકોલ વિના થઈ હતી. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક બદ્રીનાથ ધામમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે. પર્વતો પર બનેલ આ ધામ દર વર્ષે છ મહિના ભક્તો માટે ખોલવામાં આવે છે અને છ મહિના બંધ રાખવામાં આવે છે.