જો તમે પણ ફ્લાઈટમાં મુસાફરી કરવાનું પસંદ કરો છો, તો તમારા માટે આ સમાચાર સાથે અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે. DGCA દ્વારા હવાઈ મુસાફરીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ હેઠળ (DGCA’s latest rule), વિકલાંગ મુસાફર (disabled passenger) ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે યોગ્ય છે કે કેમ, તે એરલાઇન કંપનીઓ દ્વારા નક્કી કરવામાં નહી આવે. પરંતુ ડૉક્ટર્સ તેનો નિર્ણય લેશે. જો ડોક્ટર ટેસ્ટમાં કોઈ યોગ્ય કારણ આપીને ફ્લાઈટમાં (flight) મુસાફરી કરવા દેવાનો ઈન્કાર કરે છે, તો તેવી વ્યક્તિને ફ્લાઈટમાંથી મુસાફરી કરવા નહી દેવાય.
એરલાઇન કંપનીઓની રેગ્યુલેટરી ઓથોરિટી, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એરલાઇન કંપનીઓને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘એરલાઇન અપંગતાના આધારે કોઈપણ પેસેન્જરને મુસાફરી કરવાનો ઇનકાર કરશે નહીં. જો કોઈ એરલાઈન્સને લાગે છે કે ફ્લાઇટ દરમિયાન પેસેન્જરનું સ્વાસ્થ્ય બગડી શકે છે, તો તે પેસેન્જરની ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી પડશે. ડૉક્ટર પેસેન્જરની તબીબી સ્થિતિ વિશે માહિતી આપશે. પેસેન્જર મુસાફરી માટે યોગ્ય છે કે નહીં તે માત્ર ડૉક્ટર જ કહેશે. એરલાઈન્સ કંપનીઓ ડૉક્ટરની સલાહ પર જ નિર્ણય લઈ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીજીસીએનો આ નિર્ણય રાંચી એરપોર્ટ પર બનેલી ઘટના બાદ આવ્યો છે. જ્યાં ઈન્ડિગોએ એક વિકલાંગ બાળકને ફ્લાઈટમાં ચઢવા દેવાની ના પાડી દીધી હતી. આ ઘટનાનો ભારે વિરોધ પણ થયો હતો. ઈન્ડિગોની આ કાર્યવાહી પર કડકાઈ બતાવતા DGCAએ 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
ઈન્ડિગો દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું હતું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિકલાંગ બાળકને રાંચી-હૈદરાબાદ ફ્લાઈટમાં ચઢવાની મંજૂરી આપવામાં આવી ના હતી. બાળક ખૂબ જ ગભરાયેલો દેખાતો હતો. આ પછી ઈન્ડિગો પર કડકાઈ દાખવતા DGCAએ 5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો અને કહ્યું કે ઈન્ડિગોના કર્મચારીઓનું વર્તન ખોટું હતું અને તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ.