કેન્સર પીડિત આરોપીના જામીન રદ કરવાની માગ, સુપ્રીમ કોર્ટે EDને ફટકાર લગાવી, કહ્યું- સમય ન બગાડો
ખંડપીઠે કહ્યું, સંબંધિત અધિકારી પર 1,00,000 રૂપિયાનો દંડ લાદવામાં આવે છે, જે તેના પગારમાંથી વસૂલવામાં આવશે. કોર્ટે કહ્યું, વિભાગ આજથી ચાર અઠવાડિયાની અંદર આ કોર્ટના રજિસ્ટરમાં દંડ જમા કરાવે.
સુપ્રીમ કોર્ટે કેન્સરથી પીડિત આરોપીની જામીન રદ કરવા માટેની અરજી દાખલ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કહ્યું કે તેણે સ્ટેશનરી, કાનૂની ફી અને કોર્ટનો સમય બગાડવો જોઈએ નહીં. 24 કરોડની ઉચાપતના કેસમાં ખાનગી બેંકના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની ખંડપીઠે સ્પેશિયલ લીવ પિટિશન ફાઇલ કરવાની મંજૂરી આપવા બદલ સંબંધિત અધિકારીને રૂ. 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.
સંબંધિત અધિકારી પર 1,00,000 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો
ખંડપીઠે કહ્યું, વિભાગે સ્ટેશનરી, કાયદાકીય ફી અને કોર્ટનો સમય બગાડતી આવી વિશેષ પરવાનગી અરજી દાખલ કરવી જોઈએ નહીં. સંબંધિત અધિકારી પર 1,00,000 રૂપિયાનો દંડ લાદવામાં આવે છે, જે તેના પગારમાંથી વસૂલવામાં આવશે. કોર્ટે કહ્યું, વિભાગ આજથી ચાર અઠવાડિયાની અંદર આ કોર્ટના રજિસ્ટરમાં દંડ જમા કરાવે.
EDએ અલ્હાબાદ હાઈકોર્ટની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી
50,000 રૂપિયાના દંડની રકમ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (નવી દિલ્હી)ને આપવામાં આવશે અને 50,000 રૂપિયા આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિયેશન પ્રોજેક્ટ કમિટી (સુપ્રીમ કોર્ટ)ને આપવામાં આવશે. EDએ 12 નવેમ્બર 2021ના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આરોપીને કેન્સરની બીમારી હોવાના આધાર પર જામીન આપ્યા હતા. હાઈકોર્ટે પ્રયાગરાજની કમલા નેહરુ હોસ્પિટલના ડોક્ટરને પણ અરજદારની તપાસ કરવા અને તેના સ્વાસ્થ્ય અને કેન્સર અંગેનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.
કાયદા પંચને ‘કાયદાકીય સંસ્થા’ બનાવવાની માગ
અન્ય એક કેસમાં, સુપ્રીમ કોર્ટ 31 ઓક્ટોબરે કેન્દ્રને કાયદા પંચને વૈધાનિક સંસ્થા તરીકે જાહેર કરવા અને પેનલમાં અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવા માટે નિર્દેશ માંગતી PILની સુનાવણી કરવાની છે. કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 31 ઓક્ટોબરની કોઝ લિસ્ટ મુજબ આ અરજી ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસ.આર. ભટ અને બેલા એમ. ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવવાના છે. અગાઉ કાયદા અને ન્યાય મંત્રાલયે ડિસેમ્બર 2021 માં દાખલ કરેલી PILના જવાબમાં કહ્યું હતું કે કાયદા પંચને વૈધાનિક સંસ્થા બનાવવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.