સંવર્ધન હેતુ માટે દિલ્હીને ગુજરાતમાંથી 3 સિંહો આપવામાં આવશે, બદલામાં રાજ્યને મળશે બે હિપોપોટેમસ
દિલ્હીને પશુ વિનિમય કાર્યક્રમ અંતર્ગત સંવર્ધન હેતુ માટે ગુજરાતમાંથી ત્રણ સિંહ આપવામાં આવશે.
Delhi: દિલ્હીને પશુ વિનિમય કાર્યક્રમ અંતર્ગત સંવર્ધન હેતુ માટે ગુજરાતમાંથી ત્રણ સિંહ આપવામાં આવશે. મંગળવારે આ માહિતિ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. દિલ્હી ઝૂના ડિરેક્ટર રમેશ પાંડેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ઝૂ ઓથોરિટીએ ગુજરાતમાં કેવડિયા અને સક્કરબાગથી એક સિંહ અને બે સિંહણ લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જેના બદલામાં દિલ્હી બે હિપ્પોપોટેમસ આપશે. નાગપુરમાં ગોરેવાડા પ્રાણી સંગ્રહાલય સાથે બીજું એક પ્રાણી વિનિમય કામ ચાલી રહ્યું છે. તેના ભાગ રૂપે દિલ્હીને બે વાઘ મળશે.
દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં પાંચ સફેદ વાઘ છે. જેમાં ત્રણ નર અને બે માદા, બંગાળના વાઘ અને સિંહની એક જોડી પણ છે. મહત્વનું છે કે, બીજી લહેર દરમિયાન કોરોના વાયરસના કેસમાં વધારો થવાને કારણે 15 એપ્રિલથી બંધ રહેલ દિલ્હી ઝૂ 1 ઓગસ્ટથી ફરીથી ખુલવા જઈ રહ્યું છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના જણાવ્યા મુજબ કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ એ જંગલના વસતી પતનને અટકાવવા, પ્રાણીઓનું સંરક્ષણ કરવાનું વિજ્ઞાન છે. જેમાં વન્ય પ્રજાતીઓને નિવાસસ્થાનમાં થયેલા નુકસાન, ઓદ્યોગિકરણ, શિકાર, ગેરકાયદેસર વેપાર અને આબોહવા જેવા મોટા પ્રમાણમાં દૂર કરાયેલા દબાણને લીધે નુક્સાન થયું છે.
આ સંગ્રહાલયમાં સાત વર્ષિય સિંહનું મે મહિનામાં લાંબી બીમારી બાદ મૃત્યુ થયું હતું. પાંડેએ જણાવ્યું હતું કે, વિશાખાપટ્ટનમ પ્રાણી સંગ્રહાલયમાંથી સ્ટાર કાચબો, જંગલી કૂતરા અને ઇગુઆના સહિતની પાંચ પ્રજાતિઓ લાવવામાં આવશે. દિલ્હીને આશરે ચાર મહિના પહેલા ચંદીગઢના છત્બીર પ્રાણી સંગ્રહાલયમાંથી ઓસ્ટ્રિચ મળ્યો હતો. કોવિડ રોગચાળાને કારણે ત્યારબાદ કોઈ પ્રાણી વિનિમય કાર્યક્રમ લેવામાં આવ્યો નથી.