Delhi Lockdown Extension: દિલ્હીમાં એક સપ્તાહ માટે લંબાવાયું લોકડાઉન, કડક પ્રતિબંધ સાથે આવતીકાલથી મેટ્રો પણ બંધ
કેજરીવાલે કહ્યું કે વ્યાપારિઓ, મહિલાઓ, યુવાનો અને વિવિધ કેટેગરીના લોકો સાથે વાતચીત થઈ છે અને દરેકનું માનવું છે કે કોરોનાના કેસ ઓછા થયા છે, પરંતુ તેમ છતાં કડક નિયમોની જરૂર છે.
દિલ્હીમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયા માટે લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવાને તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હાલ આરામ કરવાનો સમય નથી આવ્યો. સીએમએ કહ્યું કે, આ વખતે લોકડાઉન વધુ કડક બનશે. આવતીકાલે સવારથી દિલ્હી મેટ્રો પણ બંધ રહેશે. એટલે કે, 17 મે સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન રહેશે. કેજરીવાલે કહ્યું કે વ્યાપારિઓ, મહિલાઓ, યુવાનો અને વિવિધ કેટેગરીના લોકો સાથે વાતચીત થઈ છે અને દરેકનું માનવું છે કે કોરોનાના કેસ ઓછા થયા છે, પરંતુ તેમ છતાં કડક નિયમોની જરૂર છે.
દરરોજ કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ કોરોનાથી થતાં મૃત્યુ આંકમાં કોઈ રાહત નથી. કોરોના વાયરસની બીજી લહેરના કારણે દિલ્હીમાં 19 એપ્રિલથી લોકડાઉન છે. અત્યાર સુધી, દિલ્હી સરકારે ત્રણ વખત લોકડાઉનમાં વધારો કર્યો છે. એક ઓનલાઇન સર્વે અનુસાર, દિલ્હીના લોકો લોકડાઉનને એક અઠવાડિયા માટે લંબાવા માંગે છે.
નવા કેસમાં ઘટાડો થયો છે
શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસને કારણે 332 લોકોનાં મોત થયાં હતાં અને 17,364 નવા કેસ નોંધાયા હતાં. આ સતત ત્રીજા દિવસે સંક્રમણ દર 25 ટકાથી નીચે રહ્યો છે. છેલ્લા છ દિવસોમાં આ પાંચમી વખત છે જ્યારે પાટનગરમાં કોરોના વાયરસના દૈનિક કેસ 20 હજારથી નીચે આવ્યા છે. સત્તાવાર આંકડા મુજબ, શુક્રવારે રાજધાનીમાં કોરોના વાયરસના 19,832, ગુરુવારે 19,133, બુધવારે 20,960 નવા કેસ નોંધાયા હતા.
સંક્રમણ દર 25 ટકા કરતા ઓછો
બુલેટિન મુજબ શનિવારે સંક્રમણ દર 23.34 ટકા હતો, જે 16 એપ્રિલ પછી સૌથી નીચો છે. તે દિવસે સંક્રમણ દર 19.7 ટકા હતો. બીજા દિવસે 17 એપ્રિલે તે 24.6 ટકા હતો. મળતી માહિતી મુજબ, રાજધાનીમાં સંક્રમણ દર શુક્રવારે 24.92 ટકા, ગુરુવારે 24.29 ટકા, બુધવારે 26.37 ટકા, મંગળવારે 26.73 ટકા અને સોમવારે 29.56 ટકા હતો.