ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે ભારતીય નૌકાદળ (Indian Navy) દ્વારા નિર્મિત બે સ્વદેશી ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોનું ઉદ્ઘાટન કર્યું. ‘સુરત’ અને ‘ઉદયગીરી’ નામના આ બે યુદ્ધ જહાજો મુંબઈમાં મઝગાંવ ડોક્સ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યા છે. તેનું ઉદ્ઘાટન કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત INS સુરત અને INS ઉદયગીરીના લોન્ચિંગ સમારોહમાં તમારા બધાની વચ્ચે હાજર રહીને મને ખૂબ જ આનંદ થાય છે. આવા ઐતિહાસિક પ્રદેશમાં, જે વીર શિવાજી, સંભાજી અને કાન્હોજી જેવા નાયકોની કર્મભૂમિ રહી છે, તેમનું પ્રક્ષેપણ વધુ મહત્ત્વનું બની જાય છે.
તેમણે કહ્યુ કે, આપણા દેશની એક વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ છે. સમુદ્ર સાથે આપણો ઘણો જૂનો સંબંધ છે. એક તરફ સમુદ્રે આપણને પ્રાકૃતિક સંસાધનો આપીને સમૃદ્ધ બનાવ્યા છે, તો બીજી તરફ આપણને આખી દુનિયા સાથે જોડવાનું કામ પણ કર્યું છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે જ્યારે MDSL દ્વારા નિર્મિત INS સુરત અને INS ઉદયગીરીનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમાં કોઈ શંકા નથી કે આવનારા સમયમાં આપણે માત્ર આપણી જરૂરિયાતો જ નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતો પણ પૂરી કરીશું.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વિશ્વના તેલ શિપમેન્ટમાં બે તૃતીયાંશથી વધુ હિસ્સો ઈન્ડો-પેસિફિક છે. અહીંથી એક તૃતીયાંશ જથ્થાબંધ કાર્ગો અને અડધાથી વધુ કન્ટેનર ટ્રાફિક પસાર થાય છે. એટલે કે, આ વિસ્તાર વિશ્વભરમાંથી મુખ્ય માર્ગની ભૂમિકા ભજવે છે. યુદ્ધ જહાજ ‘ઉદયગિરી’નું નામ આંધ્ર પ્રદેશ રાજ્યની પર્વતમાળા પરથી પડ્યું છે અને તે પ્રોજેક્ટ 17A ફ્રિગેટનું બીજું યુદ્ધ જહાજ છે. અગાઉ, INS નીલગીરી 28 સપ્ટેમ્બર 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
INS ‘સુરત’ 15B ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનો ભાગ છે અને ‘ઉદયગિરિ’ એ 17A ફ્રિગેટ પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે. દેશના સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણના ઈતિહાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે. ‘સુરત’ યુદ્ધ જહાજ બ્લોક કન્સ્ટ્રક્શન પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ જગ્યાએ પાર્ટસ બનાવીને જોડવામાં આવ્યા છે, જેના કારણે 7 વર્ષમાં બનેતું યુદ્ધ જહાજ 5 વર્ષમાં તૈયાર થઈ ગયું છે.
Published On - 1:58 pm, Tue, 17 May 22