રાજસ્થાનના જોધપુરમાં (Jodhpur ) જલોરી ગેટ ચોક ખાતે ઈદની નમાઝ દરમિયાન થયેલી અથડામણ બાદ, તણાવને જોતા, આવતીકાલ બુધવાર સુધી 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ (Curfew) લાદી દેવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot)આ મામલે બેઠક બોલાવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતે (Gajendra Singh Shekhawat) વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે જો આ ઘટનામાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ જોધપુરના જલોરી ગેટ પર વિરોધ પ્રદર્શન કરશે.
પોલીસ ડેપ્યુટી કમિશનર રાજકુમાર ચૌધરીએ જાહેર કરેલા આદેશ અનુસાર જોધપુર કમિશનરેટના પૂર્વ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદયમંદિર, સદર કોતવાલી, સદર બજાર, નાગોરી ગેટ, ખંડા ફાલસામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા પશ્ચિમના પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેવનગર, સુરસાગર અને સરદારપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કર્ફ્યુ લાદવાના આદેશો કરવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારોમાં આજે મંગળવાર બપોરે 1 વાગ્યાથી આવતીકાલે બુધવારે મધરાત 12 સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. આ મુજબ કોઈ પણ વ્યક્તિ પરવાનગી પત્ર વિના પોતાના ઘરની બહાર નહીં નિકળી શકે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિને જોતા કર્ફ્યુની અવધિ પણ વધારી શકાય છે. આ પહેલા મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે દરેકને શાંતિ જાળવવાની અપીલ પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જોધપુર શહેરના જલોરી ગેટ ચોક પર સોમવારે રાત્રે હંગામો થયો હતો. એવું માનવામાં આવે છે કે આ વિવાદ ધાર્મિક ધ્વજને હટાવવાને લઈને થયો છે. આ પછી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે નાની વાત પર થયેલી દલીલ બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ. સોમવારે રાત્રે જલોરી ગેટ ચોક પર સ્વાતંત્ર્ય સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ અને ઈદના બેનરો ઈન્ટરસેક્શન સર્કલ પર લગાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ સિવાય રોષે ભરાયેલા લોકો ઈદની નમાજ માટે જલોરી ગેટ ચાર રસ્તા સુધી લાઉડસ્પીકર લગાવવા માટે એકઠા થયા હતા.