Breaking News: કોરોનાએ ફરી ચિંતા વધારી, એક જ મહિનામાં નોંધાયા 12 નવા કેસ અને 4 દર્દીઓના થયા મોત

કોરોના વાયરસને લઈને એકવાર ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં છેલ્લા એક મહિનાથી પણ ઓછા સમયમાં કોરોનાના નવા કેસ નોંધાતા તંત્ર એલર્ટ થયું છે. સૌથી વધુ પરેશાન કરનારી વાત એ છે કે, સંક્રમિત દર્દીઓમાંથી 4 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

Breaking News: કોરોનાએ ફરી ચિંતા વધારી, એક જ મહિનામાં નોંધાયા 12 નવા કેસ અને 4 દર્દીઓના થયા મોત
Image Credit source: AI Generated
| Updated on: Jul 18, 2026 | 4:43 PM

કોરોના વાયરસને લઈને એકવાર ફરી ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશમાં છેલ્લા એક મહિના કરતા પણ ઓછા સમયમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે. સૌથી વધુ પરેશાન કરનારી વાત એ છે કે, આ 12 દર્દીઓમાંથી 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જે લોકોએ જીવ ગુમાવ્યો છે, તેઓ પહેલાથી જ કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા.

હેલ્થ કમિશનરે શું કહ્યું?

આંધ્રપ્રદેશના હેલ્થ કમિશનર જી. વીરાપાંડિયને ગુરુવારે એક સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 26 જૂનથી 16 જુલાઈ વચ્ચે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ કોરોનાના કુલ 12 કેસ નોંધાયા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ બીમારી કોઈ એક ચોક્કસ જગ્યાએ મહામારીની જેમ નથી ફેલાઈ પરંતુ અલગ-અલગ વિસ્તારોમાંથી કેસ સામે આવ્યા છે.

કયા લોકોના મોત થયા?

કમિશનરે જણાવ્યું કે, જે 4 દર્દીઓના મોત થયા છે, તેઓને પહેલાથી જ ઘણી ગંભીર બીમારીઓ હતી. આમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડનીની બીમારી અને અન્ય કેટલીક તકલીફો હતી. એવામાં જ્યારે ઓછી રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) ધરાવતા આ દર્દીઓને કોરોના થયો, ત્યારે તેમનું શરીર તેને સહન ન કરી શક્યું. જો જિલ્લાઓની વાત કરીએ તો, આ 4 મોતમાંથી 3 મોત એકલા કડપા (Kadapa) જિલ્લામાં થયા છે, જ્યારે 1 મોત કાકીનાડા (Kakinada) માં થયું છે.

ક્યાં મળ્યા કેટલા દર્દીઓ?

આંધ્રપ્રદેશમાં આ વર્ષે (2026 માં) કોરોનાનો પહેલો કેસ 26 જૂને કડપા જિલ્લામાં જ સામે આવ્યો હતો. ત્યારબાદ 1 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે વધુ 11 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા.

મળતી માહિતી મુજબ, સૌથી વધુ 8 દર્દીઓ કડપા જિલ્લામાં મળ્યા છે. ગુન્ટૂરમાં 2 દર્દીઓ સામે આવ્યા અને વિશાખાપટ્ટનમ તેમજ કાકીનાડામાં 1-1 દર્દી સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે જ્યારે આ વાતની તપાસ કરી કે, આ લોકો કેવી રીતે બીમાર પડ્યા? ત્યારે ખબર પડી કે, તેમાંથી બે લોકો એવા હતા કે, જેઓ પહેલાથી સંક્રમિત દર્દીઓની ખૂબ નજીક રહ્યા હતા.

દર્દીઓની હાલત કેવી છે?

હેલ્થ કમિશનરે જણાવ્યું કે, 26 જૂનથી 15 જુલાઈ વચ્ચે રાજ્યમાં કુલ 67 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 12 મો દર્દી તમિલનાડુના વેલ્લોરમાં આવેલી ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (CMC) માં મળી આવ્યો હતો.

રાહતની વાત એ છે કે, અત્યારે તમામ દર્દીઓ ગંભીર નથી. સંક્રમિત લોકોમાંથી 3 દર્દીઓ અત્યારે પોતાના ઘરે જ આઇસોલેશન (Home Isolation) માં છે. 2 દર્દીઓની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે 3 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે.

દેશભરમાં શું છે કોરોનાની સ્થિતિ?

માત્ર આંધ્રપ્રદેશ જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. 1 જુલાઈથી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોનાના કુલ 339 કેસ સામે આવી ચૂક્યા છે. આ યાદીમાં સૌથી ઉપર કેરળ છે, જ્યાં 115 કેસ મળ્યા છે. બીજા નંબરે કર્ણાટક છે, જ્યાં 64 કેસ આવ્યા છે.

ત્યારબાદ મહારાષ્ટ્રમાં 43, તમિલનાડુમાં 39, અંડમાન અને નિકોબારમાં 18, દિલ્હીમાં 18 અને રાજસ્થાનમાં 12 કેસ નોંધાયા છે. આ સિવાય અન્ય કેટલાક રાજ્યોમાં પણ એકાદ-બે કેસ જોવા મળ્યા છે.

ડોક્ટરો અને એક્સપર્ટ્સનું કહેવું છે કે, ગભરાવાની (પેનિક થવાની) જરૂર નથી પરંતુ જે લોકો પહેલાથી બીમાર છે અથવા વૃદ્ધ છે, તેમણે ભીડભાડવાળી જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.

જનતાનો અવાજ ‘ગાદી’ પણ ડગમગાવી શકે છે… ઇતિહાસ જોઈ લો ! જાણો ક્યારે અને કેમ લોકશાહીની તાકાત સામે ‘સરકાર’ ઘૂંટણિયે પડી ?

Follow Us