Covid Vaccine Moderna: નવી વેક્સિન મોડર્ના વિશે સંપૂર્ણ માહિતી, જાણો અસરકારકતાથી લઈને બે ડોઝ વચ્ચેનું અંતર
ડીજીસીઆઈએ અમેરિકન કંપનીની મોડર્ના કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. સિપ્લા હવે આ રસી ભારતમાં આયાત કરી શકશે. મોડેર્ના એ કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક વી પછી ભારતમાં માન્ય કરાયેલી ચોથી રસી છે.
દેશ અને દુનિયાભરમાં કોરોના સામે લડવાનો હમણાં એક જ વિકલ્પ છે અને એ છે વેક્સિન. દેશમાં મહામારીના આ વાયરસ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન તેજ ગતિથી શરુ કરી દીધું છે. હવે આ વેક્સિનેશનને વધુ જોર મળવા જી રહ્યું છે. જી હા ભારતમાં હવે ચોથી વેક્સિનને મંજુરી મળી ગઈ છે. ભારતમાં કોવિશિલ્ડ, કોવેક્સિન પહેલાથી જ અપાઈ રહી છે. ત્યાર બાદ રશિયન વેક્સિન સ્પુતનિકને મંજુરી આપવામાં આવી હતી. અને હવે મોડર્ના વેક્સિનને પણ મંજુરી આપવામાં આવી છે.
ભારતની ચોથી વેક્સિન મોડર્ના
મુંબઇ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાને મોડર્નાની રસી આયાત કરવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નિતી આયોગના સદસ્ય ડો. વીકે પોલે કહ્યું કે, “મોડર્નાના ભારતીય ભાગીદાર સિપ્લા દ્વારા અરજી મળી હતી, ત્યારબાદ ડ્રગ રેગ્યુલેટર દ્વારા મોડર્નાની વેક્સિનને મર્યાદિત ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.”
ડોક્ટર પોલે આગળ કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત અન્ય વેક્સિનને આમંત્રિત કરવાના અમારા પ્રયત્નો પણ ચાલુ છે, ખાસ કરીને ફાઇઝર અને જ્હોનસન એન્ડ જ્હોનસન. અમે આપણા દેશમાં બનાવવામાં આવતી વેક્સિનના ઉત્પાદનમાં વધારો કરવા પર પણ ધ્યાન આપી રહ્યા છીએ.
94.1% સુધી અસરકારક છે મોડર્ના
તમને જણાવી દઈએ કે મોડર્નાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની મંજૂરી પહેલા જ મળી ચૂકી છે. WHO અનુસાર મોડેર્નાની વેક્સિન (moderna vaccine efficacy) કોરોના સામે 94.1% સુધી અસરકારક છે. WHO કહે છે કે મોડર્ના વેક્સિનની પ્રથમ માત્રાના 14 દિવસ પછી કોરોના થવાનું જોખમ 94.1% સુધી ઘટી જાય છે.
નવા વેરિઅન્ટ સામે કેટલી છે અસરકારક
તમને જણાવી દઈએ કે કંપનીના નિવેદન મુજબ, તે કોરોના વાયરસના આલ્ફા અને બીટા વેરિઅન્ટ સામે અસરકારક છે. જો કે ડેલ્ટા વેરિઅન્ટ સામે વેક્સિનના અસરને લઈને હજુ ડેટાની જરૂર છે.
મોડર્ના વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર
કોવિશિલ્ડ અને કોવેક્સિનની જેમ મોડર્ના વેક્સિનમાં પણ બે ડોઝની જરૂર છે. જેમાં 28 દિવસના અંતરે લેવાની રહેશે. ડબ્લ્યુએચઓ વેબસાઇટ અનુસાર જરૂર પડે તો અંતર 42 દિવસ સુધી લંબાવી શકાય છે.
ક્યારે કઈ વેક્સિનને મળી મંજુરી
તમને જણાવી દઈએ કે સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિનને જાન્યુઆરી 2021 માં મંજુરી આપવામાં આવી હતી. આ જ સમયે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનને પણ મંજુરી આપાઈ. વાત કરીએ વિદેશી વેક્સિનની તો સ્પુતનિક વિને એપ્રિલમાં મંજુરી આપવામાં આવી હતી. અને હવે મોડર્ના વેક્સિનને મંજુરી આપવામાં આવી છે. જાહેર છે કે વધુ વેક્સિનથી વેક્સિનેશનનું પ્રમાણ પણ વધશે.
નોંધનીય છે કે રસીકરણને વેગ આપવા માટે ડીસીજીઆઈએ 1 જૂને વિદેશમાં બનાવવામાં આવેલી વેક્સિનો માટે સીડીએલમાં તેમના માલની ચકાસણીની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો, જેને યુએસએફડીએ, યુકેના એમએચઆરએ અથવા વિશ્વ આરોગ્ય સંગઠન જેવા આંતરરાષ્ટ્રીય દવા નિયમનકારો દ્વારા મંજૂરી આપવામાં આવી છે.