સાવધાન ! દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, 152 દિવસ પછી સૌથી વધુ કેસ નોંધાતા ખળભળાટ
દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં 2151 નવા કેસ નોંધાયા છે, જે 152 દિવસ પછી સૌથી વધુ છે. કોરોના વધતા કેસ ચીંતા વધારી રહ્યા છે
હવે ફરી એકવાર દેશના લોકોને સાવચેત થવાની જરુર છે, કારણ કે દેશમાં ઘાતક કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2151 નવા કેસ નોંધાયા છે. મોટી વાત એ છે કે ગઈકાલે કોરોનાના 1573 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 578થી વધુ કેસ નોંધાયા છે.
કોરોના કેસમાં ફરી વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે વધીને 1.51 ટકા થઈ ગયો છે. નવા કેસ સાથે હવે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 કરોડ 47 લાખ 9 હજાર 676 થઈ ગઈ છે. તેમાંથી 53 લાખ 848 લોકોના મોત થયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા 11 હજાર 903 છે. એટલે કે આ લોકોની સારવાર ચાલી રહી છે.
આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 41 લાખ 66 હજાર 925 લોકોએ કોરોનાને માત આપી છે. જે કુલ કેસના 98.78 ટકા છે. મંત્રાલયે માહિતી આપી છે કે ગઈકાલે દેશમાં રસીના 11 હજાર 336 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના બે અબજ 20 કરોડ 65 લાખ 76 હજાર 697 ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Covid 19 In India: 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા, દેશના આ બે રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ
દિલ્હીમાં 214 નવા કેસ નોંધાયા
જણાવી દઈએ કે ગઈકાલે રાજધાની દિલ્હીમાં કોરોનાના 214 કેસ નોંધાયા હતા. સૌથી મોટી વાત એ છે કે સપ્ટેમ્બર 2022 પછી પ્રથમ વખત રાજ્યમાં 200 થી વધુ કેસ નોંધાયા છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના 115 કેસ નોંધાયા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે H3N2 ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધવાની સાથે જ કોરોનાના કેસ પણ વધવા લાગ્યા છે.
કોરોનાને લઈને સરકાર સતર્ક
ઉત્તર પ્રદેશમાં પણ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે યુપીમાં કોરોનાના 74 કેસ નોંધાયા હતા. તેને જોતા યુપી સરકારે સતર્કતા વધારી દીધી છે. સરકારે તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલની સાથે જરૂરી વ્યવસ્થા ગોઠવવાના આદેશો જારી કર્યા છે. સરકારે ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન સપ્લાય બેડ અને સ્ટાફની સ્થિતિ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં 2151 નવા કેસ નોંધાયા છે, જે 152 દિવસ પછી સૌથી વધુ છે. કોરોના વધતા કેસ ચીંતા વધારી રહ્યા છે જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એડવાઈઝરી બહાર પાડીને લોકોને સાવચેત રહેવા કહ્યું છે.