કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ આજથી શરૂ,મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દા પર કરશે સંવાદ
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે શ્રીપેરુમ્બદુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારક પર પ્રાર્થના સભામાં હાજરી આપ્યા બાદ યાત્રાની શરૂઆત કરશે.

કેન્દ્ર સરકારને (BJP Govt) ઘેરવા અને વિવિધ મુદ્દાઓ પર જનતા સાથે સીધો સંવાદ કરવા કોંગ્રેસ (Congress) આજથી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી રહી છે. પાર્ટીની આ યાત્રાનો હેતુ પક્ષને વધુ મજબૂત કરવાનો પણ છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે શ્રીપેરુમ્બદુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારક પર પ્રાર્થના સભામાં હાજરી આપ્યા બાદ યાત્રાની (Bharat jodo yatra) શરૂઆત કરશે. તમને જણાવી દઈએ કે,અહીં જ રાજીવ ગાંધીનું (Rajiv Gandhi) ત્રણ દાયકા પહેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ થયું હતું. કોંગ્રેસની આ યાત્રા કન્યાકુમારીથી (Kanya kumari) કાશ્મીર સુધીની હશે, જેનું અંતર લગભગ 3,570 કિલોમીટરનું છે. આ યાત્રા લગભગ પાંચ મહિનામાં 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે.
રાહુલ આજે સાંજે કન્યાકુમારીના દરિયા કિનારે એક જાહેર સભાને સંબોધશે, જેમાં તેમની યાત્રાની ઔપચારિક શરૂઆત થશે. આ દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok gehlot) અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ હાજર રહેશે. સ્ટાલિન રાહુલને રાષ્ટ્રધ્વજ આપશે. કન્યાકુમારીના ગાંધી મંડપમમાં કાર્યક્રમ દરમિયાન સ્ટાલિન પણ હાજર રહેશે. જે બાદ રાહુલ ગાંધી અન્ય કોંગ્રેસના નેતાઓ સાથે જાહેર રેલી સ્થળ પર જશે જ્યાંથી યાત્રા ઔપચારિક રીતે શરૂ થશે.
આ યાત્રા શા માટે મહત્વપૂર્ણ ?
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka gandhi vadra) એક વીડિયો સંદેશમાં લોકોને જ્યાં પણ શક્ય હોય ત્યાં યાત્રામાં જોડાવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આ યાત્રા એટલા માટે જરૂરી છે કારણ કે દેશમાં નકારાત્મક રાજનીતિ કરવામાં આવી રહી છે અને લોકો સાથે જોડાયેલા વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા નથી થઈ રહી. તેમણે કહ્યું કે યાત્રાનો હેતુ મોંઘવારી, બેરોજગારી (Unemployment) જેવા લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. કોંગ્રેસનું કહેવું છે કે આ યાત્રા દ્વારા તેનો હેતુ રાજકીય લાભ લેવાનો નથી, પરંતુ દેશને એક કરવાનો છે.
4 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની (Congress party) મોંઘવારી પરની રેલીમાં આ યાત્રા વિશે કહ્યું હતું કે, “હાલમાં વિપક્ષો પાસે જનતા સાથે સીધો સંવાદ કરવાનો કોઈ રસ્તો બચ્યો નથી કારણ કે બંધારણીય સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે.” તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય કેન્દ્રીકરણ સામે સંદેશ આપવા માટે છે.