Mehbooba Mufti સામે દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ, આર્યનની ધરપકડને ‘ખાન’ હોવાની સજા ગણાવી હતી
મહેબુબા મુફ્તીએ સોમવારે ટ્વિટર પર લખ્યું કે કેન્દ્રીય એજન્સી આર્યન ખાનની અટકના કારણે પાછળ પડી છે.
DELHI : અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં ટિપ્પણી કરવા બદલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને PDPના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી સામે દિલ્હીના વકીલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુફ્તીએ સોમવારે ટ્વિટર પર લખ્યું કે કેન્દ્રીય એજન્સી આર્યન ખાનની અટકના કારણે પાછળ પડી છે.
મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર લખ્યું કે, “ચાર ખેડૂતોની હત્યાના આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્રના કિસ્સામાં દાખલો બેસાડવાને બદલે કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરાની પાછળ છે. કારણ કે તે છોકરાની અટક ‘ખાન’ છે. ન્યાયની મજાક ઉડાવીને, ભાજપની મુખ્ય વોટ બેંકને ખુશ કરવા અને તેમની ઇચ્છાઓ પૂરી કરવા માટે મુસ્લિમોને નિશાન બનાવવામાં આવે છે.”
આ ટ્વીટ બાદ દિલ્હી સ્થિત એક વકીલે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે મહેબૂબા મુફ્તી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો હેઠળ FIR નોંધાવવી જોઈએ કારણ કે તેમણે “સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો”. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમનું નિવેદન ઉશ્કેરણીજનક છે, જે સમુદાયો વચ્ચે નફરત અને વિવાદ ઉભા કરી શકે છે.
Instead of making an example out of a Union Minister’s son accused of killing four farmers, central agencies are after a 23 year old simply because his surname happens to be Khan.Travesty of justice that muslims are targeted to satiate the sadistic wishes of BJPs core vote bank.
— Mehbooba Mufti (@MehboobaMufti) October 11, 2021
2 ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી. ગોવા જતી કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા બાદ આર્યન ખાનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8 (c), 20(b), 27, 28, 29 અને 35 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સોમવારે વિશેષ અદાલતે કહ્યું કે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાનની જામીન અરજી પર 13 ઓક્ટોબરે સુનાવણી થશે. આ કેસમાં કોર્ટે NCBને તે જ દિવસે જવાબ દાખલ કરવા કહ્યું છે. NCBએ સોગંદનામું દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. તે જ સમયે, બચાવપક્ષે કહ્યું કે આર્યનને ‘ફિટ’ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે, બાર કાઉન્સિલનો મોટો નિર્ણય
આ પણ વાંચો : કોર્ટે સચિન દીક્ષિતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, સમગ્ર ઘટનામાં વધુ એક ખુલાસો થયો