રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યામાં રામ લલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, તેમાં પણ હવે રામનવમી નજીક છે ત્યારે આ દરમિયાન ભક્તોનું અયોધ્યા રામ મંદિરમાં ઘોડાપૂર ઉમટી પડશે. ત્યારે આ ખાસ પર્વને લઈને જોરશોરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે લોકો રામ મંદિર દર્શને જાય છે તેઓ ત્યાંથી રામ મંદિરનો પ્રસાદ, સરયૂનું પાણી જેવી ખાસ વસ્તુઓ સાથે લઈને આવે છે તેમજ જે લોકો અયોધ્યા નથી જઈ શકતા તેઓ ઓનલાઈન પ્રસાદ મંગાવે છે. ત્યારે આ દરમિયાન, સરકારે જાહેર વેચાણ માટે 50 ગ્રામનો રંગીન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો છે.
જાહેર વેચાણ માટે બહાર પાડવામાં આવેલ આ ચાંદીના રંગીન સિક્કાની કિંમત રૂ 5860/- છે. તેમજ તેનું વજન 50 ગ્રામ છે અને તે 999 શુદ્ધ ચાંદીનો બનાવામાં આવેલ છે. તે SPMCILI વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદી શકાય છે. આ માટે સરકારે ઓનલાઈન વેબસાઈટ પણ બહાર પાડી છે.
ભગવાન રામલલા અને અયોધ્યામાં બનેલા રામ મંદિરના સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ આ સિક્કાને લઈને ખુબ જ ચર્ચા ચાલી રહી છે. આ સિક્કાને ખરીદીને તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો. આ સિક્કો ખરીદવા માટે તમારે સરકારની સત્તાવાર વેબસાઇટ https://www.indiagovtmint.in/souvenir-coins/ પર જવું પડશે. આ સાઇટ પર દર્શાવેલ પ્રક્રિયા પૂરી કરીને તમે રામલલા અને રામ મંદિરનો આ ચાંદીનો સિક્કો ખરીદી શકો છો.
આ સિક્કામાં એક તરફ ગર્ભગૃહમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રતિમ છે અને બીજી બાજુ રામ મંદિરની આકૃતિ છે. રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલાની મૂર્તિ ભગવાન રામના 5 વર્ષના બાળ સ્વરૂપની છે. આ મૂર્તિ શિલ્પકાર અરુણ યોગી રાજ દ્વારા બનાવવામાં આવી છે. આ સિક્કાને ખરીદીને તમારા ઘરમાં પૂજા સ્થાન પર રાખી શકાય છે. આ સિવાય તમારા નજીકના લોકોને ગિફ્ટ આપવા માટે પણ આ સિક્કો ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે.
Published On - 1:43 pm, Sun, 14 April 24