3 મેના રોજ ચારધામ યાત્રા (Chardham Yatra) શરૂ થયા બાદ ઉત્તરાખંડમાં (Uttarakhand) કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની મુલાકાતે આવેલા લગભગ 23 શ્રદ્ધાળુઓના મોત થયા છે. કોરોના વાઈરસ રોગચાળાને કારણે બે વર્ષ બાદ ચારધામ યાત્રા પૂર્ણ ક્ષમતા સાથે યોજાઈ રહી છે. કેદારનાથ (Kedarnath), બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં ક્ષમતા કરતા બમણાથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. જો કે, મુસાફરીના માર્ગો પર આરોગ્ય સેવાઓ માટે ડોકટર્સ, પેરામેડિકલ ટીમો તહેનાત છે. યાત્રાના માર્ગો પર મેડિકલ યુનિટમાં ડોકટરોની સાથે દવાઓ, એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જાણો શા માટે ચાર ધામ યાત્રા પર જવું જોખમી છે.
ઉત્તરાખંડના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 60 વર્ષથી વધુ વયના હતા અને તેઓ હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. વર્ષ 2019માં લગભગ 38 લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા કરી હતી અને 90થી વધુ યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2017 અને 2018માં અનુક્રમે 112 અને 102 યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા.
ચાર ધામ યાત્રા એટલે કે ચાર પવિત્ર યાત્રાધામો હિમાલયની ઊંચાઈ પર સ્થિત છે. યાત્રાળુઓ નીચા તાપમાન, ઓછા ભેજ, વધેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો, હવાનું ઓછું દબાણ અને ઓક્સિજનના નીચા સ્તરને કારણે અચાનક પ્રભાવિત થાય છે. કેદારનાથ ટ્રેકને ભારતમાં સૌથી જોખમી ટ્રેક માનવામાં આવે છે. આ 16 કિલોમીટરના ટ્રેકમાં ભક્તોની ભારે ભીડ અને ઘણી મહેનતની જરૂર છે. તેથી મેદાની વિસ્તારમાં રહેતા લોકોને અહીં ભારે મુશ્કેલી પડે છે.
કેદારનાથ અને યમુનોત્રી ધામ જવા માટે તીર્થયાત્રાળુઓને મુશ્કેલ માર્ગ પરથી પસાર થવુ પડે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાંથી પસાર થતા વૉકિંગ પાથમાં ઠંડીની સાથે ઑક્સિજનની પણ અછત પડે છે, આવી સ્થિતિમાં પગપાળા ચડતી વખતે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કૅન્સર, અસ્થમાના દર્દીઓની તબિયત બગડવાનો ભય રહે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓક્સિજનના અભાવે બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ રહે છે. જો કોઈ પ્રવાસી પહેલાથી જ કોઈ રોગથી પીડિત હોય તો તેણે ડૉક્ટરની સલાહ લીધા પછી મેડિકલ ચેકઅપ કરાવીને મુસાફરી કરવી જોઈએ.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના સ્ટેટ સેક્રેટરી અજય ખન્નાએ અંગ્રેજી વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “ઓક્સિજનની ઓછી અને વધુ ઊંચાઈની અસર ઉંમર પ્રમાણે બદલાય છે અને તેના લક્ષણો પણ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. વૃદ્ધ લોકોમાં ઓક્સિજન ઘટવાની ગંભીર અસર થાય છે. હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડતી ધમનીઓ 25 વર્ષની ઉંમર પછી નબળી પડવા લાગે છે. જેને કારણે વૃદ્ધો માટે જોખમ વધી જાય છે, કારણ કે ધમનીઓમાં અવરોધ ઉભો થવા લાગે છે.
જણાવી દઈએ કે કોવિડ 19 રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષથી વિક્ષેપિત થયેલી ચારધામ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વહીવટીતંત્રને દિવસ દીઠ મુલાકાતીઓની સંખ્યા વધારવા માટે સૂચના આપી હતી. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 3 મેના રોજ ખોલવામાં આવ્યા હતા, જ્યારે કેદારનાથના દરવાજા 6 મેના રોજ અને બદ્રીનાથના દરવાજા 8 મેના રોજ ખુલ્લા હતા.