Breaking News: યુમનામ ખેમચંદ સિંહ બનશે મણિપુરના નવા CM, રાજ્યમાં એક વર્ષ બાદ હટશે રાષ્ટ્રપતિ શાસન
BJP નેતા યુમનામ ખેમચંદ સિંહને દિલ્હીમાં મળેલી મણિપુર BJP વિધાયક દળની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે જ તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. જ્યા છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રપતિશાસન લાગેલુ છે.

દિલ્હીમાં યોજાયેલી મણિપુર ભાજપ વિધાયક દળની બેઠકમાં ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે. મણિપુરના ભાજપના ધારાસભ્યોની બેઠક આજે સાંજે લગભગ 5 વાગ્યે દિલ્હી સ્થિતિ ભાજપના હેડક્વાર્ટર ખાતે યોજાઈ હતી. જેમા યુમનામ ખેમચંદ સિંહને વિધાયક દળના નેતા પસંદ કરવામા આવ્યા છે. આપને જણાવી દઈએ કે મણિપુરમાં છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, અને મુખ્યમંત્રી પદ ખાલી છે.
અગાઉ, ભાજપના મહાસચિવોએ બીજેપી એક્સ્ટેન્શન ઓફિસમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ અને રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ બેઠકમાં હાજર રહ્યા હતા.
કોણ છે યુમનામ ખેમચંદ સિંહ?
નવી દિલ્હીમાં પાર્ટીની બેઠક બાદ મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે વરિષ્ઠ ભાજપ નેતા યુમનામ ખેમચંદ સિંહની પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે પાર્ટી તેના નેતૃત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ જવાબદારી આવી છે. યુમનામ ખેમચંદ સિંહ મણિપુરમાં ભાજપના વરિષ્ઠ નેતા છે અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં સિંગજામેઈ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા, તેઓ રાજ્યની રાજધાનીમાં મજબૂત રાજકીય પકડ ધરાવે છે.
2017માં બન્યા મણિપુર વિધાનસભાના અધ્યક્ષ
તેઓ માર્ચ 2017 માં મણિપુર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને 2022 સુધી પૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. સ્પીકર તરીકેનો તેમનો કાર્યકાળ રાજકીય રીતે સંવેદનશીલ સમયગાળા દરમિયાન ગૃહની કાર્યવાહી સુગમ રીતે ચલાવવા માટે જાણીતો છે. 2022 ની વિધાનસભા ચૂંટણી પછી, યુમનામ ખેમચંદ સિંહને બીજી બિરેન સિંહ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, હાઉસિંગ અને શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ અને શિક્ષણ જેવા મુખ્ય વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ વિભાગો હેઠળ, તેમણે શહેરી શાસન સુધારા, ગ્રામીણ વિકાસ યોજનાઓ અને શિક્ષણ ક્ષેત્રના વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફેબ્રુઆરી 2025 માં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ત્યાં સુધી યુમનામ ખેમચંદ સિંહ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા.
