
દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આક્રોશ અને જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામુ આપી દીધુ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનુ રાજીનામુ સોંપ્યુ છે. NEET-UG પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતરમંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે તેમણે સરકારને તેમનું રાજીનામું સોંપ્યુ છે.
પ્રધાને તેના પત્રમાં લખ્યુ છે કે છેલ્લા 4 દાયકા કરતા પણ વધુ સમયથી તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણમાં સુધારા માટે સમર્પિત રહ્યા છે. તેમનું હંમેશાથી એવુ માનવુ રહ્યુ છે કે મજબુત સર્વસમાવેશી અને દીર્ઘદૃષ્ટિવાળી શિક્ષણ વ્યવસ્થા કોઈપણ રાષ્ટ્રના વિકાસની આધારશિલા હોય છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ “3 મે 2026 એ આયોજિત NEET-UG માં અનિયમિતતાની ફરિયાદો સામે આવતા જ સરકારે તુરંત કાર્યવાહી કરી. સમગ્ર કેસની તપાસ CBI ને સોંપવામાં આવી છે. પરીક્ષા રદ કરી ફરી પરીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને આવતા વર્ષે NEET ને સંપૂર્ણપણે CBT એટલે કે કમ્પ્યુટર આધારીત મોડમાં આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી.
સરકારે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની ત્રણે ત્રણ માગો સ્વીકારી લીધી છે. જેમા આત્મહત્યા કરેલી વિદ્યાર્થીઓના પરિજનોને 1-1 કરોડની સહાય આપવાની, વિદ્યાર્થીઓ સામે થયેલી તમામ FIR પરત લેવાની અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ લેવાની માગો સામેલ હતી.
ધર્મેન્દ્ર પ્રધાને લખ્યુ કે 20 લાખ થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા નિષ્પક્ષ અને સુચારુ રીતે કરાવવી એ તેમની સર્વોચ્ચ પ્રાથમિક્તા હતી. તેના માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, જિલ્લા પ્રશાસનો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી 21 જૂને 2026ના રોજ ફરી પરીક્ષા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી. 16 જૂલાઈ એ આવેલા પરિણામોમાં ગરીબ અને વંચિત પરિવારોના અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. પરંતુ કેટલાક જવાબદાર પદો પર બેસેલા લોકોએ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી જેનાથી ભારે ધક્કો લાગ્યો છે.
પોતાના રાજીનામા પર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે છેલ્લા 10 દિવસની ઘટનાઓથી તેઓ ઘણા ખિન્ન અને વ્યથિત હતા. તેમણે સ્પષ્ટ કર્યુ કે આ તેમના વ્યક્તિ સ્વમાનનો વિષય નથી પરંતુ દેશના યુવાઓના ભવિષ્યનો સવાલ છે. તેમણે કહ્યુ કે તેઓ નથી ઈચ્છતા કે છાત્રોનું ભવિષ્ય કાયદાકીય વિવાદો અને રાજકીય પાર્ટીઓનો હાથો ન બને તેઓ શિક્ષણથી ભટકે નહીં, આ જ લાગણી સાથે તેમણે પદ છોડવાનનો નિર્ણય લીધો.
ચિઠ્ઠીમાં અંતમાં ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, મંત્રીપરિષદના સહયોગીઓ, શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યુ કે સાર્વજનિક જીવનમાં આગળ પણ તેઓ ભારત માતા, ઓડિસાની જવતા અને દેશના યુવાનોની આકાંક્ષા પુરી કરવા માટે પુરી નિષ્ઠાથી કામ કરતા રહેશે.
Published On - 2:23 pm, Sat, 25 July 26