
સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની કેટલીક બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. દેશના કુલ 10 રાજ્યોમાં 37 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાંથી 26 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા છે. બાકી રહેલી 11 બેઠકો માટે આજે બિહાર, ઓડિશા અને હરિયાણા સહિતના રાજ્યોમાં મતદાન યોજાઈ રહ્યું છે.
મતદાન પ્રક્રિયા સવારે 9 વાગ્યે શરૂ થઈ છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. દર બે વર્ષે યોજાતી રાજ્યસભા ચૂંટણીમાં આ વખતે મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા રાજકીય સમીકરણો પર ચર્ચા ચાલી રહી છે.
બિનહરીફ ચૂંટાયેલા નેતાઓમાં શરદ પવાર, રામદાસ આઠવલે, અભિષેક મનુ સિંઘવી, વિનોદ તાવડે અને બાબુલ સુપ્રિયો જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. જોકે બિહાર, ઓડિશા અને હરિયાણા જેવા રાજ્યોમાં કેટલીક બેઠકો માટે રસપ્રદ મુકાબલો થવાની સંભાવના છે.
બિહારમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 243 સભ્યોની વિધાનસભામાં પાંચ બેઠકો માટે છ ઉમેદવારો મેદાનમાં છે. શાસક NDA પાસે બહુમતી ધારાસભ્યો હોવાથી ચાર બેઠકો જીતવાની શક્યતા મજબૂત માનવામાં આવી રહી છે. જ્યારે એક બેઠક માટે સત્તારૂઢ ગઠબંધન અને મહાગઠબંધન વચ્ચે સ્પર્ધા થવાની શક્યતા છે.
આ ચૂંટણીમાં જેડીયૂ તરફથી મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપ તરફથી નીતિન નવીન અને રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહા સહિતના નેતાઓ મેદાનમાં છે. બીજી તરફ RJD તેના ઉમેદવાર અમરેન્દ્ર ધારી સિંહને જીતાડવા માટે અન્ય પક્ષોના સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
ઓડિશામાં પણ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં પાંચ ઉમેદવારો મેદાનમાં છે. અહીં ભાજપ અને બીજેડી વચ્ચે રાજકીય ગણિત રસપ્રદ બન્યું છે. ભાજપ પાસે વિધાનસભામાં પૂરતી સંખ્યાબળ હોવાથી તેના બે ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ ચૂંટણીના પરિણામો સાંજે જાહેર થશે, જેના આધારે રાજ્યસભામાં રાજકીય સમીકરણો પર અસર પડી શકે છે.
આ પણ વાંચો- કાનુની સવાલ : લિવિંગ વિલ શું છે ? જાણો શું કહે છે કાનુન