મધ્ય-પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષ અને ગેસ સપ્લાયમાં આવેલી અડચણોના કારણે ભારતમાં LPG ગેસ તેમજ પેટ્રોલ-ડીઝલ સંબંધિત મુશ્કેલીઓ ઊભી થવા લાગી છે. દેશના અનેક શહેરોમાં તેની અસર દેખાઈ રહી છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરની બુકિંગ થવામાં મુશ્કેલી આવી રહી છે, જ્યારે મુંબઈમાં પણ લોકોને સમયસર સિલિન્ડર મળતા નથી.
ઇલેક્ટ્રિક ઉપકરણોની માંગમાં વધારો
LPGના સતત વધતા ભાવને કારણે ઘણા લોકો રસોઈ માટે વૈકલ્પિક ઉપાયો અપનાવવા લાગ્યા છે. પરિણામે ઇલેક્ટ્રિક કુકર, માઇક્રોવેવ ઓવન, OTG, એર ફ્રાયર, મલ્ટી કુકર અને અન્ય વીજળી પર ચાલતા કિચન ઉપકરણોની માંગ બજારમાં ઝડપથી વધી રહી છે, કારણ કે લોકો તેને વધુ સરળ અને ખર્ચ બચાવનાર વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
સામાન્ય ગ્રાહકોને બુકિંગમાં મુશ્કેલીઓ
7 માર્ચે કેન્દ્ર સરકારે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યા બાદ સ્થિતિ વધુ બદલાઈ છે. ખાસ કરીને કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય અસરગ્રસ્ત થતાં સામાન્ય ગ્રાહકોને બુકિંગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.
દિલ્હી અને એનસીઆરના ઘણા વિસ્તારોમાં લોકોને ગેસ બુક કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી નંબર પણ યોગ્ય રીતે કામ કરતા નથી. પરિણામે ઘણા ગ્રાહકો સીધા ગેસ એજન્સીઓ સુધી જઈ રહ્યા છે, જ્યાં લાંબી લાઈનો લાગી રહી છે.
મુંબઈમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે. વેપારીઓનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરશે નહીં તો ઇંધણની અછત વધુ ગંભીર બની શકે છે.
ગેસની ઉપલબ્ધતામાં કોઈ અછત નથી: MGL
મુંબઈમાં હાલ ગેસ એજન્સીઓ મુખ્યત્વે ઘરેલુ ઉપયોગ માટે જ LPG સિલિન્ડર આપી રહી છે. 6 માર્ચથી હોટેલ અને રેસ્ટોરાં માટે સપ્લાયમાં મોટો ઘટાડો થયો છે અને લગભગ 80 ટકા સપ્લાય બંધ થઈ ગઈ છે. તેની અસર શહેરના જૂના અને જાણીતા હોટેલો પર પણ જોવા મળી રહી છે. જે હોટેલમાં પહેલા 80 પ્રકારના મેનુ આઇટમ મળતા હતા, હવે LPGની અછતને કારણે માત્ર બે જ વાનગીઓ ઉપલબ્ધ છે. તેમ છતાં મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ જણાવ્યું છે કે હાલમાં CNG અને PNG ગેસની ઉપલબ્ધિ સામાન્ય છે. પરંતુ ખાડી વિસ્તારમાં ચાલતા સંઘર્ષને કારણે LNG આયાતમાં અવરોધ આવે તો ઉદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકો માટે સપ્લાય પર અસર થઈ શકે છે.
આ સાથે જ કેટલાક શહેરોમાં પેટ્રોલ પંપ પર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે અને પેટ્રોલ ભરાવવા માટે લાંબો સમય રાહ જોવો પડી રહ્યો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. જામનગરમાં ઇંધણની સંભવિત અછતને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. તેની અસર તરીકે શહેરના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે.
