
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર થયેલા હુમલાની રાષ્ટ્રીય સ્તરે આકરી નિંદા થઈ રહી છે. આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપતા ટીએમસી સુપ્રિમો મમતા બેનર્જીએ વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે તેમને શરમ આવવી જોઈએ.
આ ઘટનાના તુરંત બાદ તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, અભિષેક બેનર્જી તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન દિવંગત તૃણમૂલ કાર્યકર્તાના પરિવાર સાથે ઉભા રહ્યા હતા. આ પોસ્ટને રીટ્વીટ કરતા મમતા બેનર્જીએ લખ્યું કે, હવે તો શાસકો જ હુમલાખોર બની ગયા છે, ભાજપને શરમ આવવી જોઈએ. ટીએમસીએ આક્ષેપ કર્યો છે કે આ ઘટનાથી ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ જ લોકશાહી અને સુશાસન છે?
ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને બંગાળની ભાજપ સરકારને ઘેરતા સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક્સ પર લખ્યું કે, લોકસભાના નેતા ચૂંટણી પછીની હિંસામાં ભાજપ દ્વારા માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને મળવા ગયા હતા, ત્યારે ભાજપના સમર્થકોએ ભીડ જમાવીને અભિષેક બેનર્જી પર હુમલો કર્યો. તેમની જાન જોખમમાં છે. તેમણે સવાલ કર્યો કે પોલીસ ક્યાં હતી અને મતગણતરીના દિવસે સુરક્ષા કેમ હટાવી લેવામાં આવી? ગૃહમંત્રીએ આનો જવાબ આપવો જોઈએ.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આ ઘટનાને સખત શબ્દોમાં વગોવી છે. તેમણે જણાવ્યું કે, અભિષેક બેનર્જી પર જીવલેણ હુમલો કરાવીને રાજ્યની અરાજક ભાજપ સરકારે સાબિત કરી દીધું છે કે તે નફરત અને હિંસક રાજકારણ સિવાય કંઈ કરી શકે તેમ નથી. આવા સંવેદનશીલ માહોલમાં પણ પોલીસની ગેરહાજરી કોઈ મોટા કાવતરા તરફ ઈશારો કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
Staying true to his word, Shri @abhishekaitc REFUSED TO ABANDON the grieving family of Sanju Karmakar.
Even after a vicious attack by @BJP4Bengal-backed miscreants, our National General Secretary chose not to turn back. Instead, he stood beside a family devastated by an… pic.twitter.com/L11oo92AzQ
— All India Trinamool Congress (@AITCofficial) May 30, 2026
બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે સોનારપુરમાં બનેલી ઘટનાઓ સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ ઘટનામાં પાર્ટી સામેલ નથી. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસે જે પ્રકારના અત્યાચારો કર્યા છે તે જોતા જો ભાજપ ઈચ્છતી તો ટીએમસીના નેતાઓ ઘરની બહાર પણ નીકળી શક્યા ન હોત. આ ભાજપની સંયમશીલતાનું પરિણામ છે કે ટીએમસીના નેતાઓ મુક્તપણે ફરી રહ્યા છે. હાલ આ મુદ્દે બંગાળનું રાજકારણ ગરમાયું છે.