સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોહમ્મદ પયગંબર પર વિવાદી ટિપ્પણી કરનાર ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા (Noopur Sharma)ને મોટી રાહત આપી છે. કોર્ટે 10 ઓગષ્ટ સુધી તેમની ધરપકડ પર રોક લગાવી છે. કોર્ટે આદેશ કર્યો છે કે તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર કોઈ મોટા પગલા લેવામાં નહી આવે. કોર્ટે માન્યુ છે કે નૂપુરની જાનને ખરેખર ખતરો છે. આવી સ્થિતિમાં તેઓ દેશની વિવિધ કોર્ટમાં હાજરી આપવા ન જઈ શકે અને તેના જીવનની રક્ષા કરવી એ આપણી ફરજ પણ છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં અજમેર શરીફના સલમાન ચિશ્તીનું (Salman Chishti) નિવેદન પણ સામેલ છે અને યુપીના એક શખ્સે પણ નુપુરને ધમકી આપી છે.
પશ્ચિમ બંગાળમાં તેની સામે અનેક FIR નોંધવામાં આવી હતી અને કોલકાતા પોલીસે તેની ધરપકડ માટે લુક આઉટ નોટિસ ઈશ્યુ કરી હતી. આવી સ્થિતિમાં તે હાઈકોર્ટમાં જઈ શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુરના વકીલે તેમના અસીલને જીવનું જોખમ હોવાની માહિતી પણ આપી છે. તેણે આ અંગે સોગંદનામું દાખલ કરવું જોઈએ. આ ઘટનાઓના સંદર્ભમાં, કોર્ટે નૂપુરની અરજી પર કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી સુધી તેની ધરપકડ પર રોક લગાવી છે.
નુપુરના વકીલે સુપ્રીમ કોર્ટને ત્રણ પાસાઓ પર ધ્યાન આપવાની વિનંતી કરી હતી.તેમણે કહ્યું હતું કે પ્રથમ FIR બાદ અન્ય FIR સમાન કલમો હેઠળ જ નોંધવામાં આવી છે. બીજું, નૂપુરને જીવનું જોખમ છે. વકીલે કોર્ટને જણાવ્યુ કે તમામ FIR માત્ર એક જ કૃત્યને લઈને નોંધવામાં આવી છે. આપને જણાવી દઈએ આ પહેલા 1લી જૂલાઈએ સુનાવણી થઈ હતી જેમા કોર્ટે નૂપુર શર્માને ફટકાર લગાવી હતી અને દેશનો માહોલ ખરાબ થવા માટે તેને જવાબદાર ગણાવી હતી. ત્યારે તેમણે દેશના વિવિધ રાજ્યોમાં તેમના નિવેદનને સામે નોંધાયેલા કેસને એકસાથે મર્જ કરી દિલ્હી ટ્રાન્સફર કરવાની માગ કરી હતી. બાદમાં નૂપુર શર્માને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેને લઈને તે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી
કોર્ટે કહ્યુ કે આ આદેશમાં એ તમામ FIR સામેલ છે. જે તેમના ટેલિવિઝન ડિબેટના નિવેદન સંબંધી અલગ અલગ 8 રાજ્યોમાં નોંધાયેલી છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યાકાંત અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેંચ કરી રહી હતી. કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્યોને નોટિસ ઈશ્યુ કરી છે જ્યાં નુપુર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે. કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે આ આદેશ પછી પણ જો FIR નોંધવામાં આવશે તો તેના પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
આ પહેલાની સુનાવણીમાં, કોર્ટે ટિપ્પણી કરી હતી કે, “દેશમાં જે પણ થઈ રહ્યું છે, તેના માટે માત્ર આ એક મહિલા જવાબદાર છે. અમે તે ટીવી ડિબેટ જોઈ છે, પરંતુ તેણીએ જે રીતે આ બધી વાતો કહી અને પછી તે કહી રહી છે કે તે વકીલ છે, તે શરમજનક છે. તેણે આખા દેશની માફી માંગવી જોઈએ.” સાથે જ, કોર્ટે તેમને તેમની અરજી પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો હતો. બાદમાં તેણે કોર્ટમાં નવેસરથી અરજી કરી અને જૂની અરજીઓને પુનઃજીવિત કરવાની વિનંતિ કરી હતી.
Published On - 4:04 pm, Tue, 19 July 22