મણિપુરમાં નીતિશની પાર્ટીને મોટો ફટકો, JDUના 7માંથી 5 ધારાસભ્યો BJPમાં જોડાયા
મણિપુર વિધાનસભા(manipur Assembly)ના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકરે JD(U)ના પાંચ ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણનો સ્વીકાર કર્યો છે.
મણિપુર((Manipur)માં, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર(Nitish Kumar)ના જનતા દળ (JDU) ના સાતમાંથી પાંચ ધારાસભ્યો શુક્રવારે સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા. મણિપુર વિધાનસભાના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકરે JD(U)ના પાંચ ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણનો સ્વીકાર કર્યો છે. પક્ષ બદલનારા ધારાસભ્યોની સંખ્યા કુલના બે તૃતીયાંશ કરતાં વધુ હોવાથી, તેમનું પક્ષપલટો માન્ય ગણવામાં આવશે.
આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં JD(U)એ 38માંથી છ બેઠકો જીતી હતી. જે ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમાં જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, ભૂતપૂર્વ ડીજીપી એલએમ ખુટે અને થંજમ અરુણકુમાર છે. ખૌટે અને અરુણ કુમારે અગાઉ ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડવાની માંગ કરી હતી, પરંતુ પાર્ટી દ્વારા નામંજૂર કરવામાં આવતાં તેઓ JD(U)માં જોડાયા હતા.
વર્ષો બાદ જેડીયુએ 7 સીટો જીતી હતી
જો કે, જેડી(યુ) એ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 22 વર્ષના અંતરાલ પછી મણિપુરમાં વિધાનસભા બેઠકો જીતી હતી. પાર્ટીએ 2000ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં માત્ર એક બેઠક જીતી હતી, પરંતુ મણિપુરમાં સતત ચૂંટણીમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, JD(U) એ મણિપુરમાં ચૂંટણી લડી ન હતી. ખાસ વાત એ છે કે ધારાસભ્યોનો પાર્ટી છોડવાનો નિર્ણય એ સમાચાર પછી સામે આવ્યો છે જેમાં રાજ્યની ભાજપ સરકારથી JDUના અલગ થવાની માહિતી સામે આવી હતી.
નીતિશે બિહારમાં એનડીએ છોડી દીધું
આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીમાં ભાજપ અને જેડી(યુ) એ સાથી પક્ષ તરીકે ચૂંટણી લડી ન હતી. ચૂંટણી પરિણામો પછી, સાત JD(U) ધારાસભ્યોએ સરકારને સમર્થન આપ્યું. ભારતના ચૂંટણી પંચે (ECI) આ મહિનાની શરૂઆતમાં મણિપુરમાં JD(U) ને રાજ્ય પક્ષ તરીકે માન્યતા આપી હતી. અગાઉ ઓગસ્ટમાં નીતિશ કુમારે એનડીએ છોડીને આરજેડી અને અન્ય પક્ષો સાથે મહાગઠબંધનની સરકાર બનાવી હતી.