હવે જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી (Gyanvapi Mosque) કેસમાં એક નવી વાત સામે આવી છે. મંગળવારે જિલ્લા અદાલતમાં મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે જ્ઞાનવાપીનો અસલી માલિક આલમગીર છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જે સમયે મસ્જિદ બની રહી હતી, તે સમયે મુગલ શાસક ઔરંગઝેબનું (Aurangzeb Mughal) શાસન હતું, આ સંપત્તિ પર પણ ઔરંગઝેબનું નામ આલમગીર તરીકે નોંધાયેલું છે. કોર્ટમાં બે કલાક ચાલેલી ચર્ચા દરમિયાન મુસ્લિમ પક્ષે પોતાની દલીલોમાં મુઘલ શાસક ઔરંગઝેબનો વારંવાર ઉલ્લેખ કર્યો અને સાથે જ કહ્યું કે આલમગીરે જ આ મિલકત આપી હતી. જેના પર મસ્જિદ બનેલી છે.
મુસ્લિમ પક્ષના એડવોકેટ શમીમ અહેમદે કોર્ટમાં 25 ફેબ્રુઆરી, 1944ના રોજ રાજ્ય સરકારનું ગેઝેટ પણ રજૂ કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તત્કાલીન વકફ કમિશનરે વકફ મિલકતોની યાદી તૈયાર કરી હતી અને તેમાં જ્ઞાનવાપીનું નામ ટોચ પર હતું.
આ ગેઝેટ રજૂ કરતાં વકીલે જણાવ્યું હતું કે આ અહેવાલના આધારે જ્ઞાનવાપી વકફ મિલકત તરીકે નોંધાયેલ છે અને સરકારે તેને ગેઝેટેડ કરાવી છે. તેમણે કહ્યું કે વકફ પ્રોપર્ટી માટે તે જરૂરી છે કે તેને આપવા માટે કોઈ હોવું જોઈએ. અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ મિલકત આલમગીર બાદશાહ દ્વારા વકફને આપવામાં આવી હતી. મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે 1291 ફાસલીની ઠાસરા-ખતૌની ફાઇલ કરવામાં આવી છે, જેમાં માલિક તરીકે આલમગીરનું નામ નોંધાયેલું છે.
વકફ એક્ટ 1995નો ઉલ્લેખ કરતા એડવોકેટે કહ્યું કે સિવિલ કોર્ટને તે સમયની મિલકતની બાબતોની સુનાવણી કરવાનો અધિકાર નથી. તેથી, વાદીએ દાખલ કરેલ આ દાવો જાળવવા યોગ્ય નથી.
બુધવારે સુનાવણી શરૂ થતાં જ અંજુમન ઈંતજામિયા પહેલા અધૂરી રહેલી ચર્ચા પૂરી કરશે. આ પછી હિંદુ પક્ષ વતી એડવોકેટ હરિશંકર જૈન જવાબ સ્વરુપે દલીલ કરશે. હિંદુ પક્ષના વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ જૈને જણાવ્યું હતું કે અંજુમનની દલીલ મુજબ, મિલકત વકફની છે, તેથી વકફ ટ્રિબ્યુનલમાં મુકદ્દમો ચાલવો જોઈએ.
અંજુમન વતી નિયુક્ત એડવોકેટ યોગેન્દ્ર સિંહ મધુ બાબુ મંગળવારે પણ કોર્ટમાં પહોંચ્યા ન હતા, જ્યારે રઈસ અહેમદ, મુમતાઝ અહેમદ, મિરાજુદ્દીન સિદ્દીકી અને એજાઝ અહેમદ હાજર હતા. મહિલા અરજદારો વતી, હરીશંકર જૈન અને વિષ્ણુ જૈન ઉપરાંત, સુભાષ નંદન ચતુર્વેદી, સુધીર ત્રિપાઠી, માનબહાદુર સિંહ, અનુપમ દ્વિવેદી, DGC સિવિલ મહેન્દ્ર પ્રસાદ પાંડે અને અન્ય અરજદારો અને વકીલો કોર્ટમાં હાજર હતા.