મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ બાદ હવે સીએમ મમતાનાં અન્ય કયા મંત્રી છે તપાસ એજન્સીઓના રડાર પર, કોની સામે નોંધાયા છે કેસ
ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટરજીની પશ્ચિમ બંગાળમાં SSC ભરતી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની સહયોગી અભિનેત્રી અર્પિતા મુખર્જીની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamata Banerjee) ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટરજીની પશ્ચિમ બંગાળમાં SSC ભરતી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની સહયોગી અભિનેત્રી અર્પિતા મુખર્જીની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેના ફ્લેટમાંથી 21 કરોડ રૂપિયા, 79 લાખથી વધુની કિંમતના દાગીના સહિત જમીનના કાગળો મળી આવ્યા છે. શિક્ષકોની નિમણૂકના મામલે પાર્થ ચેટર્જી મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતા છે, જેમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ હવે વિપક્ષી પાર્ટીઓ બીજેપી અને સીપીઆઈ(એમ) સતત મમતા બેનર્જી પર પ્રહારો કરી રહ્યા છે અને મમતા બેનર્જી પર સવાલો ઉઠાવી રહ્યા છે.
આરોપ લગાવી રહ્યા છે કે આ કેસમાં મમતા બેનર્જી પણ ક્યાંકને ક્યાંક સામેલ છે. જો કે, મમતા બેનર્જી સતત કેન્દ્રીય એજન્સીઓ પર દુરુપયોગનો આરોપ લગાવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે તૃણમૂલ કોંગ્રેસના મંત્રી અને નેતાની કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હોય. આ પહેલા પણ મમતા બેનર્જીના ઘણા મંત્રીઓ અને નેતાઓની ચિટ ફંડ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે.
સીબીઆઈએ શિક્ષણ રાજ્યમંત્રી પરેશ અધિકારીની પૂછપરછ કરી, એજન્સીઓના રડાર પર
શિક્ષકોની ભરતીમાં થયેલા કૌભાંડ મામલે સીબીઆઈએ શિક્ષણ રાજ્યમંત્રી પરેશ અધિકારીની પૂછપરછ કરી છે. પરેશ ચંદ્ર અધિકારી પર તેમની પુત્રી અંકિતા અધિકારી સહિત તેમના પરિવારના સભ્યોને ગેરકાયદેસર રીતે નોકરી આપવાનો આરોપ હતો. કોર્ટના આદેશ બાદ અંકિતા અધિકારીને તેની નોકરીમાંથી બરતરફ કરવામાં આવી હતી અને તેને ચૂકવવામાં આવેલ પગાર પરત કરવા જણાવ્યું હતું. આ કેસમાં સીબીઆઈએ પરેશ અધિકારીની અનેકવાર પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ પરેશ ચંદ્ર અધિકારીના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
ચિટ ફંડ કેસમાં ઘણા મંત્રીઓ અને નેતાઓની ધરપકડ કરવામાં આવી
પશ્ચિમ બંગાળમાં શારદા ચિટ ફંડ કૌભાંડમાં મમતા બેનર્જીના મંત્રી ફિરહાદ હકીમ, પૂર્વ મંત્રી મદન મિત્રા, દિવંગત મંત્રી સુબ્રત મુખર્જી, પૂર્વ સાંસદ અને હાલમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષ સહિત અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. રોઝ વેલી ચિડ ફંડ કૌભાંડમાં પૂર્વ સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે. શારદા ચિટ ફંડ કૌભાંડમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. જો કે આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ નેતાઓ અને મંત્રીઓ જામીન પર છે.
આ કેસના મૂળ આરોપી અને શારદા ચિટ ફંડના માલિક સુદિપ્ત સેન અને તેમના સહયોગી દેવજાની હાલમાં જેલમાં છે અને તાજેતરમાં તેમણે કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીની પણ ધરપકડ કરવી જોઈએ.