ચિત્તાના પુનર્વસન પાછળ અંદાજિત 70 કરોડ રૂપિયાનો થશે ખર્ચ, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી સાથે IOCએ કર્યા MOU
Cheetah Returns: નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) સાથે 75 કરોડ પ્રોજેક્ટના ખર્ચના બે તૃતિયાંશ ભાગને પહોંચી વળવા IOCએ MOU કર્યા છે. ભારતમાં ચિત્તાના પુનર્વસન પર અંદાજિત 70 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ભારતમાં ચિત્તા (Cheetah) ના પૂનર્વસન પર અંદાજિત 70 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેમાંથી 50 કરોડ રૂપિયાનો ખર્ચ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ઉઠાવવામાં આવશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) સાથે રૂ. 75 કરોડના પ્રોજેક્ટના ખર્ચના બે તૃતીયાંશ ભાગને પહોંચી વળવા માટે IOC એ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે.
ભારતમાં પ્રથમવાર કોઈ સજીવને પૂનર્વસન માટે લાવવામાં આવ્યા
ભારતમાં આ પ્રકારે અન્ય દેશમાંથી કોઈ સજીવના પુનર્વસનનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. વર્ષ 1970થી ચિત્તાના પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે પરંતુ તેને ખરા અર્થમાં અમલીજામા આજે પહેરાવવામાં આવ્યા છે. આ વર્ષના જૂલાઈ માસમાં ભારત નામિબિયા વચ્ચે ચિત્તાને લાવવા અંગે કરાર થયા હતા.
આ કરાર મુજબ 8 ચિત્તાને વિશેષ બોઈંગ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. જેમા ત્રણ નર અને પાંચ માદા ચિત્તાનો સમાવેશ છે. અગાઉ આ ચિત્તાને રાજસ્થાનના જયપુર લઈ જવાના હતા બાદમાં તેમને મધ્યપ્રદેશના ગ્વાલિયર મહારાજા ઍરપોર્ટ પર લવાયા હતા અને ત્યાંથી વિશેષ હેલિકોપ્ટર દ્વારા તેમને કુનો નેશનલ ફોરેસ્ટ પાર્ક લઈ જવામાં આવ્યા હતા.
PM મોદીએ કુનો નેશનપાર્કમાં ચિત્તાને ખુલ્લા મુક્યા
આ આઠ ચિત્તાઓ પૈકી ત્રણ ચિત્તાઓને પીએમ મોદીએ લીવર ખેંચીને જંગલમાં ખુલ્લા મુક્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાને અનુસરીને, ભારત આ ચિત્તાઓના પુનર્વસન માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. અમે અમારા પ્રયાસોને નિષ્ફળ નથી થવા દેવાના. કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તાને જોવા માટે દેશવાસીઓએ હજુ થોડા મહિના રાહ જોવી પડશે. આજે આ ચિતાઓ મહેમાન બનીને આવ્યા છે, તેઓ આ વિસ્તારથી અજાણ છે. આ ચિત્તાઓ કુનો નેશનલ પાર્કને તેમનું ઘર બનાવી શકે તે માટે, આપણે આ ચિત્તાઓને પણ થોડા મહિનાનો સમય આપવો પડશે.”
વર્ષમાં 1952 બાદ ભારતમાં એકપણ ચિત્તો બચ્યો નહીં
પીએમએ કહ્યું, “એ ઘણુ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે વર્ષ 1952માં દેશમાંથી ચિત્તાઓને લુપ્ત જાહેર કરી દેવાયા અને ત્યારબાદ દાયકાઓ સુધી તેમના પુનર્વસન માટે કોઈ સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. આજે આઝાદીના અમૃતકાળમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિત્તાઓના પુનર્વસનના કામમાં લાગી ગયો છે. એ વાત સાચી છે કે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ થાય છે તો આપણું ભવિષ્ય પણ સુરક્ષિત છે. વિકાસ અને સમૃદ્ધિના માર્ગો પણ ખુલે છે. જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ ફરી દોડશે, ત્યારે અહીંની ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ફરીથી રિસ્ટોર થશે.”